(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: નવસારી તીઘરા રોડ લેઉઆ પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલ સમારંભમાં પ્રા. ડૉ. સ્વાતિ નાયક રચિત અને પંકજ પારેખ દ્વારા શ્વર અપાયેલ સયાજીવૈભવ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદમહેમાનોને હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંત પારેખે મહેમાનો, આમંત્રિતોને આવકારી સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. સયાજી વૈભવ લાઈબ્રેરી આજે એમના સંચાલનને કારણે માત્ર નવસારી નહિ, ગુજરાત નહીં પણ વિશ્વભરમાં નામના ધરાવે છે. પુસ્તકાલયની નવીનીકરણના પ્રયત્નો થઈ રહ્યા છે. કહેવાય છે કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીકળપા થઈ જતી હોય છે. કાર્યક્રમ દરમિયાન લાઈબ્રેરીના નવીનીકરણ માટે દાતાશ્રીઓએ પોતાનું દાન આ સંસ્થા માટે લખાવ્યું હતું.
આજના સમારંભમાં મેઘાણીની 125મી જન્મજ્યંતી નિમિતે વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલી શાળાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, પુસ્તક ભેટ અપાયા હતા. પ્રાથમિક માધ્યમિક બન્નેમાં નાની અને મોટી શાળા એમ વિભાગો વર્ગીકરણ કરી ઈનામોનું વિતરણ કરાયું હતું. સાહિત્ય વિભાગ, ગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ, વાર્તા, રંગોળી, ચિત્ર સ્પર્ધા, મેઘાણીના જીવસનચરિત્ર વિશેના નાટકો વગેરે અનેક પ્રવૃત્તિ માટે ઈનામો અપાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિદા વૈદ તથા ઈનામ વિતરણનું સંચાલન મંત્રી માધવી શાહે કર્યું હતું. સમગ્ર સભાખંડ શ્રોતાગણથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. કાર્યક્રમના અતિથિ ઉદ્યોગપતિ ડૉ. દિનેશભાઈજોષીએ અનુભવો વહેંચીને સરસ પ્રવચન આપ્યું હતું. મુખ્ય અતિથિ ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી વિભાગ અધ્યક્ષ તેમજ સાહિત્યકાર પ્રા. ડો. મહેન્દ્રભાઈ પરમારે મેઘાણી વિશે પ્રવચન આપી બધાને ભાવવિભોર કર્યા હતા. લેઉઆ પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અજિતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. લાઈબ્રેરીના પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, ટ્રેઝરર, પ્રોજેક્ટ કન્વીનર, લાઈબ્રેરી સ્ટાફના અથાગ પ્રયત્નો દેખાય રહ્યા હતા. સૌના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.