(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામની આંગણવાડી જર્જરિત થતાં આ આંગણવાડીના નાના ભૂલકાંઓ છેલ્લા લાંબા સમયથી શાળાના ઓટલે બેસી જ્ઞાન મેળવવા મજબૂર બન્યા હોવાનો તેમજ શૌચાલયથી પણ વંચિત ભૂલકાંઓ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થતાં જ રેલો આવતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે, જ્યારે બીજીબાજુ પ્રજાની પડખે રહેનાર સેવાભાવી ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પણ શાળાએ આવી પહોંચી બાળકોના વેદનાની પરિસ્થિતિ જાણી તાત્કાલિક ધોરણે કામગીરી કરાવાની વાલીઓ સાથે ગ્રામજનોને પણ ખાતરી આપી હતી અને જરૂર પડયે તો લડત લડવાની પણ તૈયારી બતાવીહતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનવેરીખુર્દના મહાદેવ ફળિયા ખાતે પણ ગામના નાના ભૂલકાંઓ પોષણક્ષમ આહાર સાથે જ્ઞાન મળી રહે એ હેતુસર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતા આ આંગણવાડીના મકાનનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે ભૂલકાંઓ શાળાના ઓટલા પણ છેલ્લા લાંબા સમયથી મજબૂરીવશ બેસી અભ્યાસ કરી રહ્યા છે. તો ગામમાં નવા આંગણવાડીના મકાનને મંજૂરી મળી તો લોકોમાં ખુશી તો જોવા મળી પરંતુ આ મકાનના નિર્માણની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો આંગણવાડી મકાન નિર્માણનું કામ છેલ્લા કેટલાક સમથી ટલ્લે ચઢયું છે. અને હાલ ભૂલકાંઓ શાળાનાં ઓટલા પર જ અભ્યાસ કરવો પડી રહ્યો હોય ત્યારે સ્થાનિકોમાં રોષની સાથે અસંતોષ જોવા મળી રહ્યો છે.
જે બાબતે અહેવાલ પ્રસિદ્ધ થતાં જ રેલો આવતા તંત્ર દોડતું થયું છે. શિક્ષણ માટે સતત લડત લડતા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ શાળાએ આવી અધૂરું બાંધકામ અને શાળાના બાળકોની વેદના નિહાળી તંત્રને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ ચૌહાણની મુલાકાત કરશે. જ્યારે તંત્ર દ્વારા જલ્દી કામ શરૂકરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે, જ્યારે ધારાસભ્ય અનંત પટેલે સ્થાનિકોને આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે અને જરૂર જણાય તો આ મુદ્દે લડત લડવાની ખાતરી આપી છે
——–
Previous post