(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21: આજે ‘વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસ નિમિત્તે’ માછીમારો માટે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા-2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ દીવના માછીમારો નિહાળી શકે તે માટે દીવ જિલ્લા ફિશરીઝ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે દીવના વણાંકબારા શ્રી મહાસાગર ફિશરીઝ કો.-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના હોલ ખાતે સવારે દશ(10) કલાકે માછીમારો માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે આયોજિત ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા-2023’નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. આ પ્રસારણ નિહાળવા મોટી સંખ્યામાં વણાંકબારાના માછીમારો એકત્રિત થયા હતા.
અમદાવાદ ખાતે આયોજિત આ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી શ્રી પરુષોત્તમરૂપાલા અને વિશ્વના 10 દેશના પ્રતિનિધિ મંડળો અને ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ, તેમજ ભારતના અન્ય રાજ્યોના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન ભારતના કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ માછીમારોના હિતાર્થે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ અવસરે દીવના માછીમારોએ પણ પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી માહિતી મેળવી હતી જે ભવિષ્યમાં તેઓને ઉપયોગી નિવડશે.