દરેક મહિલાએ આર્થિક રીતે પગભર થઈ પુરુષ સમોવડી બનવાનું છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: વલસાડ જિલ્લાના પારડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે સ્ટેજ પરથી ૭ સ્વસહાય જૂથોને રૂ. ૨.૧૦ લાખ રીવોલ્વિંગ ફંડ, ૪ ગ્રામ સખી સંઘોને રૂ.૨૮ લાખ, ૧૧ સ્વ સહાય રૂ.૨૮ લાખના ચેકોનું વિતરણ તેમજ બેંક મેનેજરો, બેંક સખી અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરોને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. કેશ ક્રેડિટ કેમ્પમાં જિલ્લાના ૪૫૧ સ્વસહાય જૂથોને કુલ રૂ. ૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશની દરેક મહિલાઓએ આર્થિક રીતે પણ પગભર થઈ પુરુષ સમોવડી બનવાનું છે એવું આહવાન કરતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, મહિલાઓના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૨માં ગુજરાત સરકારમાં મહિલાઓના વિકાસ અને સશક્તિકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી હતી. મહિલાઓ મિલકતમાં કાયદાકીય રૂએ એમનો હિસ્સો મેળવે તે માટે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મહિલાઓ માટે રાહતો આપવામાં આવી છે. ત્યારે સામાન્ય અને ગ્રામીણ મહિલાઓ કેવી રીતે સ્વનિર્ભર આત્મનિર્ભર થઈ શકે તે માટે સરકાર દ્વારા દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) લાગુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા સામન્ય મહિલાઓ પણ આર્થિક સહાય મેળવી નાના ધંધાઓથી શરૂઆત કરી એક સારા ઉત્કૃષ્ટ સ્થાન પર પહોંચી શકે છે. આ સહાયનો પ્રામાણિકતાથી ઉપયોગ કરી જૂથની દરેક મહિલાઓનો આર્થિક વિકાસ કરવાનો ધ્યેય રાખી સમાજ અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવો જોઈએ. મહિલાઓને સ્વનિર્ભર બની પોતાનો વિકાસ કરી સરકારના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ પશુપાલન દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે. મહિલાઓએ દરેક ક્ષેત્રોમાં સાહસ કરી આગળ વધવું, તમારા દરેક સાહસમાં સરકાર તમારા પડખે અડીખમ ઊભી છે. દરેક બેંકને વિનંતી છે કે યોજનાનો લાભ લેનાર મહિલાઓને પૂરતો સહયોગ આપો.
દેશના વિકાસમાં દેશની વસ્તીની અડધો અડધ મહિલાઓનું પ્રદાન નોંધનીય છે એમ જણાવી ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે સખી મંડળોની મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે દરેક લાભર્થીઓને અભિનંદન આપવાની સાથે બીજી મહિલાઓને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. એમણે કહ્યું હતું કે, સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના દરેક પ્રયત્નો કરી રહી છે. આ પ્રયત્નોના ભાગરૂપે આ યોજના દ્વારા મહિલાઓને ધંધો શરૂ કરવા તેમજ ધંધાનો બહોળો વિકાસ કરવા માટે સરકાર વિના વ્યાજે ધિરાણ આપે છે જેથી તેઓ પગભર થઈ શકે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મિત્તલબેન પટેલ, સંગઠન પ્રમુખશ્રી મહેશભાઈ દેસાઈ, જિલ્લા ગ્રમવિકાસ એજન્સીના નિયામકશ્રી જે. પી. મયાત્રા,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી સની પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. પી. માયાત્રા, સંગઠન સભ્ય રાજુભાઈ અને મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.