શાસકોએ વહીવટ સામે ઉઠાવેલા ભ્રષ્ટાચારના સવાલ માટે જવાબદાર કોણ : પ્રજાનો વેધક સવાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસર અને શાસકો વચ્ચે વહીવટ બાબતે સર્જાતા ખટરાગની ઘટના ચાલી આવતી જૂની રસમ જેવી છે. ચીફ ઓફિસર તરીકે શ્રી શૈલેષભાઈ પટેલ અને શ્રીમતી ચંદ્રાબેનનો કાર્યકાળ બાદ કરતા આજ સુધીના તમામ ચીફ ઓફિસરોએ સંઘર્ષ પૂર્ણ રીતે સમય પસાર કર્યો છે. હાલમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા શ્રી જીગ્નેશભાઈ બારોટ ઉમરગામ પાલિકામાં બીજીવાર સેવા આપી રહ્યા છે. અર્થાત અનુભવને કામે લગાવી શાસકો સાથે સંકલન સાધવામાં સફળ થયા હોવાનું બહાર આવી રહ્યું છે. અંદાજિત રૂા.22 કરોડના નવા કામોની વહીવટી મંજૂર કરાવી પાલિકાને વિકાસની દ્રષ્ટિએ નવા મુકામ ઉપર પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં પેવર બ્લોક, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, કામરવાડ તળાવનું બ્યુટીફિકેશન, ક્રિકેટ સ્ટેડિયમ અને પાલિકા કચેરીનું ફર્નિચરની કામગીરીનો સમાવેશ થઈ રહ્યો છે. ઉમરગામપાલિકામાં પ્રમુખ તરીકે શ્રીમતી ચારૂ શીલાબેન વિરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ માછી તેમજ બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી અંકુશભાઈ કામડી વગેરે આગેવાનોની કામગીરી પ્રશંસનીય રહી છે. ચોમાસા દરમિયાન વોર્ડ નંબર પાંચમાં પાણી ભરાવાની 40 વર્ષ જૂની સમસ્યાનો અંત આવી ગયો છે. છેલ્લા દોઢ વર્ષથી વહીવટી અને વિકાસના કામોના અટવાયેલા બિલોનો પારદર્શક રીતે નિકાલ લાવવા તમામ સભ્યોને ખર્ચાઓની યાદી આપી અભિપ્રાય લઈને નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉમરગામ પાલિકા સામે હાલમાં કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્ટ્રાક્ટરના ભાઈ અને પૂર્વ પ્રમુખ શ્રી સચિનભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ મુકતા પાલિકા વાસીઓમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને આવી જવા પામ્યો છે. અને એની નોંધ ભાજપ મોવડી મંડળ દ્વારા લેવામાં આવશે એમાં બે મત નથી. પાલિકા વાસીઓમાં પાલિકાએ કરેલા ભ્રષ્ટાચારની વિગતો જાણવાની પણ જિજ્ઞાસા જાગી છે પરંતુ હજુ સુધી બહાર આવવા પામી નથી. શ્રી સચિનભાઈ માછીએ પાલિકા પર મુકેલા ભ્રષ્ટાચારોની વિગત અને એમાં સંડોવાયેલા શાસક પક્ષના સભ્યોની યાદી જાહેર કરે એવી પાલિકાવાસીઓમાં માંગ ઉભી થવા પામી છે.