દમણ-દીવનાસાંસદ ઉમેશભાઈ પટેલે ભારત સરકારના જળશક્તિ મંત્રીની મુલાકાત કરી પાઠવેલા આવેદનપત્રમાં મધુબન ડેમનું રાષ્ટ્રીય સ્તર પર સ્વતંત્ર સુરક્ષા ઓડિટ,કેન્દ્રીય જળ આયોગ, રાષ્ટ્રીય ડેમ સુરક્ષા પ્રાધિકરણ અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સંયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા નિરીક્ષણ, ડેમનું સંરચનાત્મક અને ભૂકંપીય ક્ષમતાનું વૈજ્ઞાનિક અધ્યયન સહિતના સૂચનો સાથે કરેલી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.31 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે ભારત સરકારના જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની મુલાકાત કરી મધુબન ડેમની સુરક્ષા દમણગંગાના કેચમેન્ટ વિસ્તારમાં પૂર પ્રબંધન અને પ્રભાવિત લોકોના પુનર્વસનના વિષયને પ્રમુખતાથી રજૂ કર્યો હતો.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાથે દાનહ અને દમણ તથા ગુજરાતના વાપી અને મહારાષ્ટ્રની સરહદના વિસ્તારોમાં આવેલ ભીષણ પૂરનું કારણ અને ઉત્પન્ન થયેલ સ્થિતિ ઉપર વિસ્તૃતથી ચર્ચા કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કેન્દ્ર જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલને સોંપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વિક્રમસર્જક વરસાદ, મધુબન ડેમથી છોડવામાં આવેલા અધિક જળ, લગાતાર વરસાદ તથા દરિયામાં ભરતીના સંયુક્ત પ્રભાવથી દમણગંગા નદીનાબેઝિન(કેચમેન્ટ એરિયા)માં ગંભીર પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આ આફતમાં હજારો પરિવારો પ્રભાવિત થયા છે અને અનેકના ઘર તથા વેપારી પ્રતિષ્ઠાનો પણ જળમગ્ન થવા પામ્યા છે. ખેડૂતોનો પાક નષ્ટ થયો અનો માછીમારોની બોટોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
સાંસદશ્રીએ 2003ની દમણની દર્દનાક પુલ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મધુબન ડેમથી છોડાયેલા પાણી બાદ સર્જાયેલ પુલ દુર્ઘટનામાં શાળાના બાળકો, રાહદારી તથા શિક્ષક મળી કુલ 32 વ્યક્તિઓના મોત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલની ઘટનામાં પણ લોકોના મનમાં તે સમયનો ભય ફરી જીવિત થયો છે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ સ્થિતિથી બચવા માટે લાંબા સમયની અને વૈજ્ઞાનિક સમાધાન જરૂરી હોવાનું જણાવ્યું છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના આવેદનપત્રમાં મધુબન ડેમનું રાષ્ટ્રીય સ્તર પર સ્વતંત્ર ઓડિટ, કેન્દ્રીય જળ આયોગ, રાષ્ટ્રીય ડેમ સુરક્ષા પ્રાધિકરણ અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સંયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા નિરીક્ષણ, ડેમનું સંરચનાત્મક અને ભૂકંપીય ક્ષમતાનું વૈજ્ઞાનિક અધ્યયન, ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં પ્રોટેક્શન ડેમ-ફલડ બફર ડેમનું નિર્માણ, દમણગંગા બેઝિન માટે ઈન્ટ્રીગ્રેટેડ ફલડ મેનેજમેન્ટ પ્લાન, અદ્યતન અર્લીવોર્નિંગ સિસ્ટમ,એસએમએસ એલર્ટ, સાયરન વોર્નિંગ સિસ્ટમ, સાર્વજનિક એસઓપી, પૂર પ્રભાવિતો માટે રાહત અને પુનર્વસન તથા મધુબન ડેમ અને દમણગંગા બેઝિનની સુરક્ષા ઉપર શ્વેત પત્ર જારી કરવાની માંગણી કરી હતી.
મુલાકાત દરમિયાન ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી અને તેમણે હાલમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ વહેલામાં વહેલી તકે આ મુદ્દે યોગ્ય અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરશે.

