આંબાબારી કૌંચા ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલી માનવમેદનીઃ પ્રશાસકે પણ કરેલી પ્રશંસા
દેશમાં મોદી સરકારના આગમન બાદ દાનહની આઝાદીના 70 વર્ષમાં જે કામો નથી થઈ શક્યા તે માત્ર 6 વર્ષમાં થતાં વ્યક્ત કરેલો સંતોષ અને આનંદ
દૂધની અને કૌંચાનો બ્રિજ વર્ષો પહેલાં બનવો જોઈતો હતો, પરંતુ તે કામ નહીં થતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલને બ્રિજ બનાવવાનું મળેલું સૌભાગ્ય
સુરંગી, ખેરડી, કૌંચા, ગલોન્ડા, સાયલી, મસાટ તથા સિંદોની ગ્રામ પંચાયતના બનનારા પંચાયત ઘરોમાં સરપંચનું કાર્યાલય, પંચાયત સેક્રેટરીની ઓફિસ, સરળ સેવા કેન્દ્ર, ટોયલેટ, પબ્લિક લાયબ્રેરી તથા એટીએમ જેવી ઉપલબ્ધ થનારી સુવિધાઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દાદરા નગર હવેલીના ઊંડાણના એક નાનકડાં આદિવાસી ગામ આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનું ભૂમિપૂજન અને ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભોની જાણકારી તથા યોજનાઓના લાભાર્થીઓને લાભનુંવિતરણ પણ કર્યું હતું.
દાનહના આંબાબારી કૌંચા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના સાત દાયકા પુરા થવા આવ્યા છે, છતાં દાદરા નગર હવેલીમાં પાયાની સુવિધાનો અભાવ છે. જો આ કામ પહેલા જ કરી દેવામાં આવ્યું હોત તો આ પુણ્યનું કામ મારા ભાગ્યમાં નહીં આવ્યું હોત. તેમણે કૌંચા અને દૂધનીને જોડતા બ્રિજનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ કામ બહુ પહેલાં થઈ જવું જોઈતુ હતું. પરંતુ દેશમાં મોદી સરકારના આગમન બાદ ટચૂકડાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જે કામો 70 વર્ષમાં નથી થઈ શક્યા તે માત્ર 6 વર્ષમાં પૂર્ણ કરાતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આનંદ અને સંતોષની લાગણી પણ વ્યક્ત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતાના 6 વર્ષના કાર્યકાળમાં થયેલ વિકાસકામોની ગણતરી કરાવતા જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ, પેરામેડિકલ અભ્યાસક્રમની સાથે સાથે દાદરા નગર હવેલીમાં આર્મી સ્કૂલ, ડીગ્રી કોલેજ તથા ખાનવેલમાં યુવાનો માટે આઈ.ટી.આઈ.નો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે ખાનવેલ ચાર રસ્તાથી બટરફલાય ઉદ્યાન સુધી રિવરફ્રન્ટ યોજના સહિતની વિવિધ પરિયોજનાની પણજાણકારી આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના સેંકડો લાભાર્થીઓના બેંક ખાતામાં વિવિધ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો લાભ પહોંચ્યો છે. પ્રધાનમંત્રીની કિસાન સમ્માન યોજના અંતર્ગત દાદરા નગર હવેલીના સેંકડો આદિવાસીઓના ખાતામાં વર્ષે રૂા.6000 લેખે કરોડો રૂપિયા પહોંચ્યા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આડકતરી રીતે દાદરા નગર હવેલીના તથાકથિત રાજકારણીઓ દ્વારા ભોળા આદિવાસીઓના ભોળપણનો લાભ લઈ તેમની સાથે કરેલી છેતરપીંડીનો પણ ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારના આગમન બાદ જ દાદરા નગર હવેલીના આદિવાસીઓને પણ તેમનો સાચો અધિકાર મળતો થયો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લગભગ 70 મિનિટ જેટલા આપેલા વક્તવ્યમાં સંઘપ્રદેશ પ્રશાસનની ઉપલબ્ધિઓ અને પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પરંતુ લોકોની જરૂરિયાતોને સંતોષવા કાર્યરત હોવાનો આમલોકોને અહેસાસ પણ કરાવ્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સુરંગી, ખેરડી, કૌંચા, ગલોન્ડા, સાયલી, મસાટ તથા સિંદોની ગ્રામ પંચાયતના નવા ગ્રામ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કર્યું હતું. નવનિર્મિત પંચાયત ઘરોમાં સરપંચનું કાર્યાલય, પંચાયત સેક્રેટરીનીઓફિસ, સરળ સેવા કેન્દ્ર, ટોયલેટ, પબ્લિક લાયબ્રેરી તથા એટીએમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
પ્રારંભમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ગીર ગાય યોજના, હર ઘર જલ, સેલ્ફ હેલ્પ ગૃપ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા વારસાઈ યોજનાના લાભાર્થીઓએ ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ગીર ગાય યોજના, વધાઈ કીટ, સ્કૂલ કીટ, મુદ્રા યોજના વગેરેના લાભાર્થીઓને લાભનું વિતરણ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આજે જનસભામાં દૂધની, કૌંચા, આંબાબારી જેવા વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં આટલી મોટી મેદની સાથેની જનસભા પહેલી વખત થઈ છે.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તથા બહુમતિ જિલ્લા પંચાયતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આકાર્યક્રમમાં જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણની પણ ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.