(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: ઉમરગામ તાલુકાના દેહરી પંચાયતના સરપંચ શ્રી ધનેશભાઈ અને ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ સોલંકીની ટીમ દ્વારા દેહરીવાસીઓના હીતને ધ્યાનમાં રાખી સ્વભંડોળમાંથી રૂપિયા 15 લાખના ખર્ચે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. પ્લાન્ટ વિકસાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપુતે દેહરી પંચાયતને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવામાં આવેલા નિર્ણયની પ્રશંસા કરીહતી. આ ઉપરાંત ધારાસભ્ય રમણભાઈ પાટકર દેહરી પંચાયતના અદ્યતન મકાનની કામગીરીમાં પણ પૂરેપૂરો સહયોગ આપવાની બાહેંધરી આપવા સાથે અત્યંત જરૂરી હોય એવા બાકી રહેલા વિકાસના કામોને પણ તાત્કાલિક પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપા સંગઠનના તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપુત, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને દેહરી ગામના આગેવાન શ્રી દિનેશભાઈ માહ્યાવંશી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રૂપેશભાઈ ગોહિલ, તેમજ દેહરી પંચાયતના તમામ સભ્યો, આગેવાનો અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.