ગેમઝોનમાં અનેક ક્ષતિઓ બહાર આવી : તાત્કાલિક અસરથી
બંધ કરવાની સુચના અપાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ગુજરાતને હચમચાવી નાખતી ઘટના રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનમાં શનિવારે ઘટી હતી. ગેમઝોનમાં અચાનક ભિષણ આગ લાગતા 25 લોકો બળીને ભડથુ થઈ ગયા હતા. જેમાં માસુમ ભુલકાઓ પણ હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં આઘાત પહોંચાડયોહતો. ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે તાત્કાલિક ઓર્ડર આપ્યો હતો કે ગુજરાત ભરના ગેમ ઝોનોની આકરી તપાસ કરો અને કસુરવાર ઠરેલા જણાય તો આકરી કાર્યવાહી કરી. રાજ્ય સરકારના આદેશ બાદ વલસાડ પાલિકાએ આજે શહેરમાં ચાલી રહેલ ગેમઝોનની તપાસ હાથ ધરી હતી.
વલસાડમાં પણ ગેમઝોન ચાલી રહ્યા છે તે અંતર્ગત પાલિકાની ટીમે હાથ ધરેલી તપાસ કાર્યવાહીમાં ઘણી લાલીયાવાડી-ચોંકાવનારી ક્ષતિઓ બહાર આવી હતી. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિ માટેના સાધનોનો રાખરખાવ જોવા મળ્યો નહોતો તેમજ દુર્ઘટના કે ઈમરજન્સીમાં બહાર નિકળવાની એક્ઝિટ જોવા મળી નહોતી તેથી તપાસ કરાયેલ તમામ ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાની પાલિકા અધિકારીઓએ આદેશ આપી દીધા છે. જો કે સુરતનો તક્ષશિલા કાંડ કે અમદાવાદની હોસ્પિટલ અગ્નિ કાંડ હોય તમામ બનાવો બાદ પણ જાહેર સ્થળોએ ચોક્કસ ગાઈડલાઈનનું પાલિન કરવા મળ્યું નથી. આ તો એવો કહી શકાય કે ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં ઘટેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી. અત્યાર સુધી ધ્યાન જ ન આપ્યું. ભૂતકાળના બનાવો બાદ પણ પ્રશાસને બોધપાઠ લીધા હોત તો રાજકોટનો બનાવ ન ઘટયો હોત. વલસાડમાં તો તપાસ શરૂ કરાઈ છે. વાપીમાં પણ એવા ગેમઝોનમાંતપાસ થવી જરૂરી છે.
વલસાડ ગેમઝોન ચેકિંગ કાર્યવાહીમાં પાલિકા સહિત પોલીસ મામલતદાર સહિતના અધિકારી જોડાયા હતા.