રિઝર્વ બટાલિયનના જવાનોએ પોતાના ખર્ચથી ખરીદેલા તિરંગાને પ્રવાસીઓને આપેલી ભેટઃ પ્રવાસીઓએ જવાનો સાથે લીધેલી સેલ્ફી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આઝાદીના 75 વર્ષના ઉપલક્ષમાં આયોજીત અમૃત મહોત્સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવ અને લક્ષદ્વીપના રિઝર્વ બટાલિયન (આઈઆરએલડી)ના અધિકારીઓ તથા જવાનોએ મોટી દમણ રામસેતૂથી તિરંગા યાત્રા કાઢી હતી.
તિરંગા યાત્રાને મોટી દમણ લાઈટ હાઉસ ખાતે દમણના પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન રિઝર્વ બટાલિયનના જવાનો રામસેતૂ બીચથી પસાર થતા ગયા તેમ તેમ ભારત માતાની જય અને વંદે માતરમ્ના નારાથી સમગ્ર રામસેતૂ બીચ વિસ્તાર ગુંજી ઉઠયો હતો અને ઉપસ્થિત સેંકડો પ્રવાસીઓ પણ ભારત માતા કી જય અને વંદે માતરમ્નો જયઘોષ કર્યો હતો.
તિરંગા યાત્રા જમ્પોર બીચ સુધી પહોંચી પરત લાઈટ હાઉસ ખાતે પહોંચી વિરામ લીધો હતો. ત્યારબાદ રિઝર્વ બટાલિયનના જવાનોએ પોતાના અંગત ખર્ચથી લગભગ 100 જેટલા તિરંગા ખરીદી ચોકલેટની સાથે પ્રવાસીઓને તિરંગો વિતરીત કર્યો હતો. તિરંગાના વિતરણ દરમિયાન પ્રવાસીઓએ જવાનો સાથે ખુબસેલ્ફી લીધી હતી.
આ પ્રસંગે રિઝર્વ બટાલિયનના આસિટન્ટ કમાન્ડન્ટ શ્રી હુસેન અલી, પોલીસ નિરીક્ષક શ્રી અનવર સાલહી, પોલીસ નિરીક્ષણ શ્રી બીજુકે નામ્બિયાર તથા અન્ય અધિકારીઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા.