પડતર માંગો અંગે તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો 1પમી સપ્ટેમ્બરથી પુનઃ ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ક્ષય વિભાગના જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગુજરાત આરએનટીસીપી કરારબધ્ધ કર્મચારી સંઘના પ્રમુખ શ્રી હેમાંશુ પંડયાના નેજા હેઠળ સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષકરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, 11 એપ્રિલના રોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને એનએચએમના ડાયરેકટર રેમ્યા મોહનની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ પડતર માંગોના યોગ્ય ઉકેલ માટે મૌખિક ખાત્રી આપી હતી અને તેથી ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારીઓએ 24-માર્ચથી શરૂ કરેલ આંદોલન સ્થગિત કરેલ હતું, પરંતુ ત્રણ માસ કરતા વધુ સમય વિતી જવા છતાં પડતર માંગો અંગે યોગ્ય ઉકેલ ન આવતા ક્ષય વિભાગના કરારી કર્મચારીઓમાં રોષ અને અવિશ્વાસની લાગણી ઉભી થવા પામી છે.
ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારીઓની પગાર વધારો, ટીબીએચવીને પેટ્રોલ એલાઉન્સ ઈન સર્વિસ મૃત્યુ સહાયમાં વધારો, કમ્પેન્સેશન સહિતની પડતર માંગણીઓનો અંગે તત્કાલ નિર્ણય નહિ લેવાય તો 15-09-2022થી પુનઃ ગાંધી ચિંધ્યા રાહે આક્રમક આંદોલન કરવામાં આવશે. જેમાં થનાર જાહેર આરોગ્ય અને દર્દીના હિતને થનાર નુકસાનીની જવાબદારી ઉપરોક્ત સર્વ અધિકારી પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું.