(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ધારાસભ્ય અનંતભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા, મહામંત્રી ધર્મેશભાઈ જિલ્લાના પ્રભારી તરૂણ વાઘેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ સહિતનાઓ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંઆરોગ્ય કેન્દ્રો મારફત આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં પીએચસી પર ફરજ બજાવતા ફાર્માસિસ્ટનો ખુબ જ મહત્વનો ફાળો હોય છે. આ ફાર્માસિસ્ટ કેડરના 4200 ગ્રેડ પે, કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ 130-દિવસની રજા પગાર અને ખાસ ભથ્થું, વેકસીનનું લોડિંગ અનલોડિંગનું ઈનસેન્ટિવ તેમજ વેકસીનની વધારાની કામગીરી બદલ ભથ્થું સહિતના મુખ્ય પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહેલ છે. સાર્વત્રિક રસીકરણ અંતર્ગત ગુજરાત સરકારને એવોર્ડ અપાવવામાં ફાર્માસિસ્ટનો સિંહફાળો છે. કોરોના કાળમાં ફરજ દરમ્યાન ઘણા ફાર્મસીસ્ટો કોરોના પોઝીટીવ થાય છે. અને ઘણા ફાર્માસિસ્ટે પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
આમ છતાં પણ ફાર્માસિસ્ટની વર્ષોથી પડતર વ્યાજબી માંગણીઓની એકપણ માંગણીનું સુખદ સમાધાન થયેલ નથી. આજે કોરોના વોરિયર્સ હક્કના રૂપિયા મેળવવા ધરમના ધક્કા ખાતા થઈ ગયા છે. વધારાના કામના મહેનતાણામાંથી અધિકારીઓ 2 થી 5 ટકા લાંચ લેવાની અપેક્ષા રાખતા અધિકારીઓના કારણે કોરોના વોરિયર્સને ચૂકવવાના રૂપિયા રોકી રાખ્યાંની વાત સામે આવતી હોય ત્યારે ચીખલી તાલુકામાં એમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, સુપરવાઈઝર સહિતના 157-જેટલા અને નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદાતાલુકાના કોરોના વોરિયર્સ પોતાના હક્કના નાણાં મેળવવા હજુ કયાં સુધી રાહ જોવાની ? ત્યારે ફાર્માસિસ્ટો સહિતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું સત્વરે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં કોરોના વોરિયર્સ કોરોના સામે ઝઝૂમી આપણા જેવા અનેક લોકોને ઉગારવામાં પોતાના જીવના જોખમે સેવા બજાવનાર કર્મચારીઓને ગ્રાંટ આવી ગયેલી હોવા છતાં હક્કના નાણાં ચૂકવાયા નથી. માત્ર એક જ તાલુકામાં ચૂકવાયા છે. ત્યારે બાકીના તાલુકાઓમાં સત્વરે ન ચૂકવાઈ તો કોંગ્રેસ આંદોલન કરશે.