પાલનપુર હાઈવે પાસે વડગામ ગોલા રોડ ઉપર તા.5 થી 8 સુધી 24 કલાક નાસ્તો, પુરી, મીનરલ વોટર, મેડિસિનની નિઃશુલ્ક સેવા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા રોડના યુવાનો દ્વારા કાર્યરત વાપી સેવા મંડળ પાછલા 14 વર્ષથીઅંબાજી ભાદરવા પૂનમે ચાલતા પદયાત્રીઓ અને સંઘો માટે નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષનો સેવા કેમ્પ તા.5 થી 8 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ કરાયો છે.
અંબાજી ભાદરવી પૂનમનો ખુબ મહિમા છે. ગુજરાત ભરમાંથી પગપાળા સંઘો મોટા અંબાજી ચાલતા જાય છે. પૂનમના દિવસે 10 લાખ પદયાત્રીઓ અંબાજી શક્તિપીઠમાં હોય છે. પગપાળા સંઘના દરેક રસ્તા ઉપર સેવા કેમ્પ પાંચ પાંચ કિ.મી.ના અંતરે કાર્યરત હોય છે. વાપી-છરવાડા રોડ વિસ્તારના યુવાનો વાપી સેવા મંડળના નેજા હેઠળ મહેસાણા-પાલનપુર હાઈવે નજીક આવેલ છાપી, મગરવાડા, ગોલારોડ ઉપર છેલ્લા 14 વર્ષથી અંબાજી સેવા કેમ્પનું આયોજન કરે છે. કેમ્પમાં યાત્રિકો માટે મીનરલ વોટર, ચા, ખમણ-ગાંઠીયા, પુરી, શાક, છાશ અને દવાઓની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. તા.5 થી પ્રારંભ થતા કેમ્પ તા.8 સપ્ટેમ્બર સુધી દિવસ-રાત કાર્યરત રહે છે. જેનો હજારો પદયાત્રીઓ લાભ લે છે.