દમણમાં ઓઆઈડીસી દ્વારા નિર્મિત પુલની આવરદા માંડ 42 દિવસ રહી હતી, પરંતુ સ્ટ્રક્ચર એન્જિનિયરથી માંડી કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને ઉની આંચ પણ નહીં આવી હતી..!
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી ઓ.પી.કેલકરના આગમન બાદ ધીરે ધીરે ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલી લડાઈ બંધ થવા લાગી હતી. શ્રી ઓ.પી.કેલકર બાદ 12મી નવેમ્બર, 2002ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી અરૂણ માથુરનું આગમન થયું હતું. શ્રી અરૂણ માથુરના પ્રશાસક કાળ દરમિયાન દમણમાં 28મી ઓગસ્ટ, 2003ના રોજ થયેલી પુલ દુર્ઘટનામાં શાળાના 28 વિદ્યાર્થીઓ, 1 શિક્ષક અને 1 રાહદારી મળી કુલ 30 મોત થયા હતા. જેના કારણે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો. મોટી દમણ અને નાની દમણ વચ્ચેનો સીધો વ્યવહાર કપાઈ ગયોહતો. નાની દમણ અને મોટી દમણ વચ્ચે ફેરીબોટ શરૂ કરવામાં આવી હતી અને ફ્રી બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં જે તે સમયના અધિકારીઓ અને બસ સંચાલકો મળી કરોડો રૂપિયાનું ગરવાણું કર્યું હતું.
નાની દમણ અને મોટી દમણને જોડતાં પુલ દુર્ઘટના બાદ બીજા પુલનું પણ બાંધકામ શરૂ કરાયું હતું અને ઐતિહાસિક સમયમર્યાદામાં પૂર્ણ પણ કરાયું હતું. ઓઆઈડીસી દ્વારા નવા બનેલા પુલની આવરદા માંડ 42 દિવસ રહી હતી અને 3જી ઓગસ્ટ, 2004ના રોજ આ પુલ પણ ધરાશાયી થયો હતો અને ફરી પાછી ફ્રી ફેરીબોટ અને મફત બસની સેવા શરૂ કરવામાં આવી હતી. આ પુલ દુર્ઘટનામાં જે તે સમયના ઓઆઈડીસીના એન્જિનિયરો અને અધિકારીઓની ભૂમિકા સંદિગ્ધ હોવાનું પ્રતિત પણ થયું હતું.
બીજી બાજુ તત્કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલે સમયની જરૂરિયાતને પારખી એક વિશાળ બ્રિજના નિર્માણ માટે પોતાના પ્રયાસો તેજ કર્યા હતા. કેન્દ્રમાં એનડીએની ભાજપ શાસિત સરકાર હોવા છતાં દમણના લોકોની સમસ્યાના નિરાકરણ માટે વિશાળ બ્રિજના નિર્માણની અનુમતિ આપી હતી અને તત્કાલિન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી શ્રી હરિન પાઠકે હાલના રાજીવ ગાંધી સેતૂનું ખાતમુહૂર્ત પણ તા.28મી જાન્યુઆરી 2004ના રોજ કર્યું હતું.
શ્રી હરિન પાઠકના આગમન બાદ લોકસભાની સામાન્યચૂંટણીના પડઘમ પણ સંભળાવા લાગ્યા હતા. (ક્રમશઃ)