વિભાગીય કચેરી હેઠળના તમામ ડેપો તથા વિભાગીય યંત્રલાયના 500થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.09 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11:30 વાગ્યે માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે વિભાગના વિભાગીય કચેરી ખાતેથી વિભાગના તમામ ડેપો જેમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, આહવા ડેપો તથા વિભાગીય યંત્રલાય સહિતના તમામ એકમોનું સંકલન કરી, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સમાં અંદાજિત 500 થી વધુ ડ્રાયવર, કંડક્ટર,મિકેનિક સહિત કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઈઝરો એ ભાગ લીધો હતો. જેમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપી સમજ આપવામાં આવી હતી. કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપી તેવા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસ.ટી. નિગમમાં ઓનલાઈન માધ્યમથી આ પ્રકારના સેમિનારના આયોજન બાબતે એસ.ટી. વલસાડ વિભાગ ખાતેથી સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. સાંપ્રત સમયે ટેક્નોલોજીના વિકાસ સાથે તેના ઉપયોગ સાથે સમયના બચત અને મહત્તમ કામદારોને આવરી લઈ અસરકારક કામગીરીની દિશામાં નવીન શરૂઆત થવા પામી છે.