(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્તારની અસલકાંટી કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ ધો.8 સુધી કુલ 80 થી વધુ માતા કે પિતા વિનાના બાળકોને દફતર, નોટબુક, પેન્સિલ, રબર, બોલપેનની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્થા દ્વારા કુલ 500 કિટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
જન્મદિન, લગ્ન એનિવર્સરી કે કોઈ સ્વજનોની પુણ્યતિથિએ આપેલ દાન દ્વારા શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્યાણ સેવાયજ્ઞ પ્રજ્વલિત થઈ રહ્યો છે. જેનું સમગ્ર સંચાલન શિક્ષક દંપત્તિ સ્નેહલભાઈ અને ચાંદનીબેન તેમજઆનંદભાઈ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. શૈક્ષણિક કીટ દરમિયાન કપરાડા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ બી. મકવાણા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર પ્રિયંકાબેન ઠાકોર તથા કેન્દ્ર શિક્ષક ધર્મેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.