સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને મહત્વાકાંક્ષી આયોજનથી મળેલું પરિણામ
મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી ઢોલર સુધીના રસ્તાના વિસ્તૃતિકરણથી લઈ કિલ્લાના સૌંદર્યને પણ આપેલો નવો ઓપ
દમણવાડા ગ્રામ પંચાયતના લાઈબ્રેરી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષોથી મોટી દમણનો વિસ્તાર વિકાસની દૃષ્ટિએ ઉપેક્ષિત રહ્યો હતો. જેની સરખામણીમાં નાની દમણના પંચાયત વિસ્તારોમાં જાહોજલાલી હતી. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને વિકાસની દૃષ્ટિએ મોટી દમણ આગળ નિકળી રહ્યું હોવાનો ભાવ પણ પ્રગટ કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે મોટી દમણની કાયાકલ્પમાટે શરૂ કરેલા પ્રયાસોના કારણે આજે કોઈને પણ ઈર્ષા થઈ શકે એ પ્રકારના વિકાસે હરણફાળ ભરી છે. મોટી દમણના લાઈટ હાઉસથી જમ્પોર બીચ સુધી શરૂ થયેલા બીચ રોડથી વિકાસની યાત્રા થંભી નથી ગઈ. પરંતુ મોટી દમણના કિલ્લાની લેવામાં આવેલી માવજતના કારણે આજે ફિલ્મી શુટિંગનું પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
28મી ઓગસ્ટ, 2003ની ગોઝારી પુલ હોનારતમાં મોત પામેલા બાળકોની સ્મૃતિમાં બનાવવામાં આવેલ મેમોરિયલ સ્પોટ ફક્ત સ્થાનિકો માટે જ નહીં પરંતુ પ્રવાસીઓ માટે પણ પોરો ખાવાનું મથક બન્યું છે. મોટી દમણ કિલ્લાની અંદર બનાવવામાં આવેલ વિવિધ ઉદ્યાનો તથા લાઈટ હાઉસની બાજુમાં નિર્મિત એમ્ફી થિએટર મોટી દમણની શાન તરીકે ઉભરી રહ્યું છે.
જમ્પોર ખાતે બની રહેલ વિશાળ પક્ષીઘરના નિર્માણ બાદ પ્રવાસીઓનો ધસારો દશગણો વધશે એમાં કોઈ સંદેહ નથી. બીચ રોડની તર્જ ઉપર જમ્પોરથી બામણપૂજા નદી સુધી બનનાર રિવરફ્રન્ટ પણ અદ્ભૂત નજારો પુરો પાડશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન પહેલાં મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી ઢોલર સુધીના રસ્તા ઉપર હંમેશા આમને સામને બે વાહનો ટકરાવાનો ભય રહેતો હતો. હવે રસ્તા પહોળા થતાં ડર દૂર થયો છે, પરંતુ પ્રવાસન વિકાસની વધેલી રફતારનાકારણે ટ્રાફિકનું ભારણ પણ અનેકગણું વધવા પામ્યું છે. તે દર્શાવે છે કે, મોટી દમણનો વિસ્તાર હવે વિકાસની તરફ અગ્રેસર બની રહ્યો છે.
પ્રદેશમાં અને જે તે ગામમાં પ્રવાસીઓના અવાગમનથી આર્થિક ગતિવિધિમાં પણ તેજી આવતી હોય છે. જેનો લાભ પ્રદેશ અને ગામને જ થવાનો છે. હવે જ્યારે મોટી દમણ પ્રવાસનનું મુખ્ય મથક બની રહ્યું છે ત્યારે પ્રજા તરીકે આપણે પણ આપણું દાયિત્વ નિભાવવું પડશે. ગંદકી નહીં થાય અને પ્રવાસન સ્પોટને નુકસાન નહીં થાય તેની તકેદારી પણ લેવી પડશે. પ્રવાસીઓને ભગવાનના સાક્ષાત અવતાર સમજી તેમની સાથે વાણી અને વ્યવહાર રાખવાની સમજ પણ કેળવવી જરૂરી બનશે. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસને મોટી દમણના કાયાકલ્પ માટે કોઈ કસર છોડી નથી.