- (ભાગ-6)
દાનહમાં સ્થપાયેલા મહાકાય ઉદ્યોગોના માલિકો મુંબઈ કે અન્યત્ર રહેતા હોવાથી મેનેજર અને સ્થાનિક રાજકારણીઓની જુગલબંધીમાં શરૂ થયેલ હપ્તા, ખંડણી, સ્ક્રેપ વગેરેનું આજે 30 વર્ષ બાદ પણ યથાવત રહેલું વિષચક્ર
-
દાનહ અને દમણ-દીવને 16મી માર્ચ, 1992થી મળેલા પૂર્ણ સમયના આઈ.એ.એસ. પ્રશાસક
આખરે 16મી માર્ચ, 1992ના રોજથી સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને પૂર્ણ સમયના પ્રશાસકના સ્વરૂપમાં આઈ.એ.એસ. અધિકારી શ્રી કે.એસ.બૈદવાનની નિયુક્તિ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ગોવાના રાજ્યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક તરીકેના વધારાના હવાલાથી શ્રી ભાનુ પ્રકાશ સિંઘ ઉપર પૂર્ણવિરામ લાગ્યું હતું.
1991-’92માં જાહેર કરેલ ટેક્સ હોલીડેના કારણે દાદરા નગર હવેલીમાં વિવિધ મહાકાય ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆત પણ થઈ ચુકી હતી. દમણમાં જગ્યાનો અભાવ હોવાના કારણે મોટા ઉદ્યોગો આવવાનું ટાળતા હતા. જ્યારે દાદરા નગર હવેલીમાં જોતજોતામાં ડઝનો મલ્ટી નેશનલ કંપનીઓના કામકાજ પણ શરૂ થઈ ચુક્યા હતા.
મલ્ટી નેશનલ અને મહાકાય કંપનીઓના ચેરમેન,મેનેજીંગ ડાયરેક્ટર, માલિક કે ભાગીદારો પૈકી કોઈપણ દાદરા નગર હવેલીમાં વસવાટ કરતું નહીં હોવાથી સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝની જવાબદારી મેનેજરના હસ્તક સુપ્રત કરવામાં આવી હતી. તે વખતે દાદરા નગર હવેલીમાં મુંબઈની ટોપ સિક્યુરીટીની બોલબાલા હતી. ટોપ સિક્યુરીટીના મહત્વના હોદ્દા ઉપર તે સમયના સત્તાધારી પક્ષના નજીકના લોકોનો કબ્જો જામી ચુક્યો હતો. જેના કારણે ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતી અનેક રીતરસમોથી સત્તાધારી સાહેબ વાકેફ રહેતા હતા. જેનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાંથી હપ્તા ઉઘરાવવા, ખંડણી માંગવા, ભંગારના કોન્ટ્રાક્ટ લેવા કે ટ્રાન્સપોર્ટના કારોબાર માટે લેવાની શરૂઆત થઈ ચુકી હતી.
ઉદ્યોગોના માલિકો મુંબઈ કે અન્યત્ર રહેતા હોવાના કારણે દાદરા નગર હવેલીમાં તેમની કંપની મેનેજરના ભરોસે ચાલતી હતી. મેનેજર અને સત્તાધારી રાજકારણીઓની ચાલેલી જુગલબંધી હજુ પણ બંધ થઈ નથી. કારણ કે, મેનેજરો પણ તગડા થઈ ચુક્યા છે અને તેમાંના ઘણાં પોતાની ઈન્ડસ્ટ્રીઝોના માલિક બની ચુક્યા છે અને ઘણી જગ્યાના અસામીઓ પણ છે. કેટલાક બિલ્ડર બનીને પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વિષચક્ર 30 વર્ષ પછી પણ યથાવત ચાલુ છે.
1992 થી 1994ના દૌરમાં પ્રવાસીઓ ખાનવેલ જતા પણ ડરતા હતા. દાદરા નગર હવેલીમાં ઉભી થયેલી મામા-ભાંજાનીજોડીએ વિકરાળ સ્વરૂપ પેદા કર્યું હતું. દમણ, સુરતથી ખાનવેલ ફરવા આવેલા સહેલાણીઓ સાથે અને તેમાં પણ મહિલાઓ જોડે અભદ્ર વ્યવહાર કરવાની ઘટના જે તે સમયે લગભગ રોજીંદી જેવી બની ચુકી હતી. પોલીસ તંત્ર પણ લાચાર હતું.
જ્યારે દમણ-દીવમાં સાંસદ ભાજપના હોવાના કારણે તે સમયે પ્રશાસનનો નાનો અધિકારી પણ શ્રી દેવજીભાઈ ટંડેલની વાતને ગંભીરતાથી નહીં લેતો હતો. જેમાં ટાઉન પ્લાનિંગ દ્વારા નકશા બદલીનું કૌભાંડ આકાર લેતાં તે સમયના સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલે સીબીઆઈનો દરોડો પડાવી 1200 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરાવ્યો હતો. તે સમયના પ્રશાસક શ્રી કે.એસ.બૈદવાન, નાણાં સચિવ શ્રી નારાયણ દીવાકર, એસોસિએટ ટાઉન પ્લાનર શ્રી તપસ નિયોગી તથા જુનિયર ટાઉન પ્લાનર શ્રી કાંથારાવ આરોપીના પિંજરામાં આવી ચુક્યા હતા.
દમણમાં પડેલા સીબીઆઈના દરોડાથી વિકાસ કામો પણ ખોરંભે પડવા લાગ્યા હતા. નકશા બદલી કૌભાંડના કારણે જમીન એન.એ.ની પ્રક્રિયા ઉપર પણ રોક લાગી હતી. જેના કારણે પ્રદેશની સ્થિતિ સાપે છંછૂદર ગળ્યા જેવી થઈ હતી. (ક્રમશઃ)