-
ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના માનવીને એમનો હક પ્રત્યક્ષ રીતે મળી રહ્યો છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે. રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦ થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી ત્યારથી અત્યાર સુધી ૧૨ વખત ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરી જિલ્લાવાર કુલ ૧૫૬૭ મેળાઓ દ્વારા ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ.૩૫ હજાર કરોડની સહાય આપવામાં આવી છે. તા. ૧૫ ઓક્ટોબરના રોજ પારડી તાલુકાની કુમાર શાળાના મેદાન પર નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયેલા ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓના ૩૫,૧૬૩ લાભાર્થીઓને કુલ રૂ. ૮૧.૭૫૫ કરોડની સહાય ચૂકવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ મેળા દ્વારા દરેક છેવાડાના માનવીને એમનો હક પ્રત્યક્ષ રીતે સીધેસીધો મળી રહ્યો છે એમ જણાવતા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૯-૧૦ બાદ ગરીબોને દરેક લાભો સારી રીતે મળે તે માટે આ ૧૩માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે આજે જિલ્લામાં લગભગ ૩૫ હજાર લોકોને સહાય આપવામાં આવી છે. જેના થકી ગરીબો અને વંચિતોનો સર્વાંગી વિકાસ સાધવા માટે સક્ષમ બનશે. પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે ગરીબ કલ્યણ મેળાની શરૂઆત કરી તે પહેલા તેમણે લોકોની વચ્ચે જઈ એમની સમસ્યાઓનો ચિતાર મેળવી એ દરેક સમસ્યાઓના નિરાકરણ માટેનું સ્વપ્ન સેવ્યું હતું. આ મેળાઓ એના પરિપાક રૂપે યોજાઈ રહ્યા છે. તેમજ આજે જરૂરિયાતમંદ લોકો માટે બનેલી અનેકવિધ યોજનાઓ એ સ્વપ્ન સાકાર કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ વલસાડ જિલ્લો અનેક રીતે શાંતિ ધરાવે છે. અહીં ઉદ્યોગો અને ખેતી સમાન અને સારી રીતે વિકાસ પામ્યા છે અને રોજગારીની તકો ઊભી કરી રહ્યાં છે. વધુમાં મત્રીશ્રીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાનું પ્રાયોજન થઈ રહ્યું છે. ગુજરાતમાં વીજળીની કોઈ જ તકલીફ રહી નથી. રાજ્યના દરેક વિસ્તારોમાં પાણી પહોંચી રહ્યું છે તેમજ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છે. મહિલાઓના વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં સૌપ્રથમવાર મહિલા અને બાળ કલ્યાણ ખાતાની શરૂઆત કરાઈ હતી. દરેક સ્તરે સરકાર વિકાસલક્ષી કાર્યો કરી રહી છે.
મેળામાં જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વલસાડ દ્વારા શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અને માનવ કલ્યાણ યોજના, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કુંવરબાઈ મામેરૂ અને વિદ્યા સહાય સાયકલ યોજના, નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા વિદ્યુત સંચાલિત ચાફ્ટર સહાય, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજિવિકા મિશન યોજના, જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રાયબલ સબ પ્લાન યોજના, પારડી તાલુકા પંચાયત દ્વારા હળપતિ આવાસ અને બોર્ડર વિલેજ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ, ચેક, કિટ, ઈ – પેમેન્ટ મંજૂરી હુકમ, અનાજ ઉપણવાના પંખા, તાડપત્રી, ઓઈલ એન્જીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૫ ગ્રામ પંચાયત મકાનોની ચાવીની પ્રતિકૃતિ આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ અને ડાંગ સંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારસભ્યશ્રી રમણલાલ પાટકર, વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે દરેક લાભાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવતા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોએ કોફી ટેબલ પંચાયતી રાજની આગેકૂચ નામના પુસ્તકનંખ વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રોબેશનલ આઈ.એ.એસ. નિશા ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને કમ્લેશ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ, પાંચેય તાલુકાના પ્રાંત અધિકારીઓ, જુદા જુદા વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ – કર્મચારીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.