મૃતક મહેશ રાઠોડ અસ્થિર મગજનો તેમજ પરણિત અને ત્રણ સંતાનોનો પિતા હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30 : વલસાડના છીપવાડ વિસ્તારમાં શુક્રવારે બપોરે અરેરાટી ભરેલી ચકચારી ઘટના ઘટી હતી. ફલેટમાં એકલા રહેતા 35 વર્ષિય યુવાનો શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યાની ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ છીપવાડમાં સરકારી અનાજ ગોડાઉન પાસે આવેલ મધુબન એપાર્ટમેન્ટના ફલેટ નં.2માં 35 વર્ષિય મહેશ રાઠોડ એકલો રહેતો હતો. મહેશ પરણિત હતો, ત્રણ બાળકોનો પિતા હતો પરંતુ અસ્થિર મગજ ધરાવતો હોવાથી પત્ની ચાલી ગઈ હતી. ત્યારબાદ એકલો જ રહેતો હતો. માતા સવિતાબેન રાઠોડ મોગરાવાડીમાં દિકરીના ઘરે રહેતા હતા. આજે શુક્રવારે મહેશ ઘરમાં એકલો હતો ત્યારે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. ફલેટમાંથી ધુવાડા બહાર દેખાતા લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર અને સીટી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે આવી મામલો સંભાળી લીધો હતો. ઘરમાં લાગેલી આગ બુઝાવી દેવાઈ હતી. સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.