-
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે પિતૃ ભક્તિનું રસાળ અને ભાવવાહી શૈલીમાં સમજાવતા સભા મંડપમાં શ્રોતાઓની આંખમાંથી વરસેલો શ્રાવણ-ભાદરવો
-
‘‘પિતૃદેવો ભવઃ અને માતૃદેવો ભવઃ”ની ચરિતાર્થ થયેલી લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે હજારો ભક્તોની હાજરીમાં ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીએ ખુબ જ ભાવવિભોર થઈ જણાવ્યું હતું કે, ધારેલું સુખ મળે એ પ્રભુની કૃપાથી, પરંતુ અણધારેલું સુખ પિતૃઓની કૃપાથી જ મળે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં મા-બાપથી મોટો કોઈ ભગવાન નથી અને મા-બાપના ચરણની સેવા કરે એને 68 તિર્થનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃઓની મુક્તિ માટે શ્રેષ્ઠ શ્રીમદ્ ભાગવત કથા છે. ગમે તેવા નાસ્તિકના હૃદયમાં પણ ભાવ અને ભક્તિ પ્રગટ કરાવી દે એનું નામ જ શ્રીમદ્ ભાગવત કથા છે.
સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીએ પોતાની અસ્ખલિત વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, સત્યની નજીક રાખે એનું નામ ભાગવતકથા છે. દરરોજ જેના ઘરમાં શ્રીમદ્ ભાગવતનું પૂજન થતું હોય, વાંચન થતું હોય એના ઘરમાં સદાયે કૃષ્ણનો વાસ રહે છે. તેથી જ કહેવાય છે કે, ભાગવત શ્રવણ કરનારો ભક્ત ભયમાં રહેતો નથી. શ્રીમદ્ ભાગવતના શ્રવણથી સાત પેઢીના પિતૃઓને મોક્ષ મળે છે.
આજની કથામાં પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીએ પિતૃ ભક્તિનું મહત્વ ખુબ જ રસાળ શૈલીમાં ભાવવાહી અને સંવેદનશીલતાથી સમજાવતા શ્રોતાજનોના આંખમાં શ્રાવણ-ભાદરવો વરસાવી નાંખ્યો હતો અને પિતૃ ભક્તિનો પણ પરિવારમાં પાયો મજબૂત કરવા પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે સમાજના ટ્રસ્ટી શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ(સોમનાથ), ઉપાધ્યક્ષ શ્રી ઉમેશ પટેલ, શ્રી રાયચંદભાઈ પટેલ, શ્રી જીજ્ઞેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ (સોમાભાઈ) પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ(ભામટી), શ્રી બાબુભાઈ (વિકાસભાઈ)પટેલ, શ્રી સુભાષભાઈ પટેલ(પટલારા), શ્રી મયંકભાઈ પટેલ, શ્રી ઉપેન્દ્ર કેશવ પટેલ સહિત 1200થી વધુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.