સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતાઆનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ સહિત શિક્ષણ વિભાગની ટીમે આપેલું વિદાયમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગમાં 32 વર્ષ 8 મહિના જેટલી સુદીર્ઘ સેવા આપ્યા બાદ સહાયક શિક્ષણ નિર્દેશકના પદ ઉપરથી શ્રી મણિલાલભાઈ પટેલ ગત શનિવારના 31મી ડિસેમ્બરના રોજ સેવા નિવૃત્ત થયા હતા.
શ્રી મણિલાલભાઈ પટેલનો પ્રાથમિકથી લઈ સ્નાતક સુધીનો અભ્યાસ સરકારી સ્કૂલથી લઈ સરકારી કોલેજમાં પૂર્ણ કર્યો હતો. તેઓ મોટી દમણની ગવર્નમેન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા. સહાયક શિક્ષણ નિર્દેશક તરીકે શ્રી મણિલાલભાઈ પટેલે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે પણ સક્રિય પ્રયાસો કર્યા હતા.
શ્રી મણિલાલભાઈ ડી. પટેલે 1990માં દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે પોતાની નોકરીનો પ્રારંભ કર્યો હતો. તેમને 2006માં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બનાવાયા હતા. ત્યારબાદ 2014 થી નિવૃત્તિ સુધી સહાયક શિક્ષણ નિર્દેશક તરીકે પોતાની સેવા બજાવતા રહ્યા હતા.
શ્રી મણિલાલભાઈ ડી. પટેલના આયોજીત નિવૃત્તિ વિદાયમાન સમારંભમાં સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મણિલાલભાઈ ડી. પટેલે પોતાની તમામ જવાબદારી ખુબ જ નિષ્ઠાથી અને પ્રમાણિકતાની સાથે નિભાવી હતી. તેઓ દમણ અને દીવના સ્થાનિક હોવાના કારણે સ્થાનિક શિક્ષકો તથા સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રશ્નોથી પણ પરિચિત રહેતા હતા અને તેના નિરાકરણ માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી પરિણામ લાવવાની કોશિષ પણ કરતા હતા. શ્રી મણિલાલભાઈ ડી. પટેલ સેવા નિવૃત્ત થતાં તેમણે કરેલા કામોની પ્રશંસા તથા તેમના નિરોગી જીવનની કામના પણ કરવામાં આવી હતી.