-
પરેડમાં માછીમાર બોટ અને પ્રવાસન ઉપર આધારિત રજૂ થનારી પ્રદેશની ઝાંખી
-
1990થી લઈ અત્યાર સુધી 26મી જાન્યુ.એ દિલ્હીના રાજપથ ઉપર યોજાતી પરેડમાં સ્થાન મળે એવા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો થયા હતા, પરંતુ ટેબ્લોની નિર્ણાયક સમિતિ સામે તમામ નિષ્ફળ ગયા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઈતિહાસમાં પહેલી વખત દિલ્હીના રાજપથ ઉપર 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં પ્રદેશના ટેબ્લો(ઝાંખી)ને સ્થાન મળ્યું છે. પરેડમાં માછીમાર બોટ અને પ્રવાસન ઉપર આધારિત ટેબ્લોથી સમગ્ર દેશ અને દુનિયાને દાદરા નગર હવેલીઅને દમણ-દીવની ઝાંખી જોવાનો લ્હાવો પણ મળશે.
અત્રે યાદ રહે કે, 1987માં ગોવાથી છૂટા પડયા બાદ દમણ અને દીવના પ્રવાસન વિભાગે 1990ના પ્રજાસત્તાક દિનની પરેડમાં ટેબ્લોને સ્થાન મળે તે માટે પ્રયાસો કર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલી વહીવટી તંત્રના ટેબ્લોને સ્થાન મળ્યું નહીં હતું. પ્રજાસત્તાક દિનની પરેડ માટે પસંદ થતા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની ઝાંખીને અનેક માપદંડોથી પસાર થવા પડતું હોય છે. પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત સંઘપ્રદેશ દ્વારા બનાવવામાં આવેલ માછીમાર બોટ અને પ્રવાસન ઉપર આધારિત ટેબ્લો પ્રજાસત્તાક દિને દિલ્હીના રાજપથ ઉપર યોજાતી પરેડમાં સ્થાન મળ્યું છે જેના કારણે સમગ્ર સંઘપ્રદેશનું ગૌરવ પણ વધવા પામ્યું છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના વિકાસની બદલેલી વ્યાખ્યા બાદ સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર કેન્દ્રિત થયું છે અને તેઓ કોઈપણ પ્રોજેક્ટમાં નાની સરખી ક્ષતિ પણ ચલાવી લેવામાં નહીં માનતા હોવાના કારણે છેવટે દમણ-દીવના ટેબ્લોને પણ 26મી જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ ઉપર યોજાતી પરેડમાં સ્થાન મળી શક્યું છે.