-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ મહારાજ સાહેબ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આદર ધરાવતા હોવાના કારણે તેમના નિવાસ સ્થાન ગવર્નમેન્ટ હાઉસ ખાતે 3 દિવસ પ્રવચનનું પણ આયોજન
-
રાષ્ટ્રસંત પુણ્યવંત મહાપુરૂષ જૈનાચાર્યોની પધરામણીની પૂર્વ સંધ્યાએ જૈનમય બનેલું દમણ નગર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10: આવતી કાલે શનિવારે દમણ નગરના આંગણે રાષ્ટ્રસંત પુણ્યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્યોની પાવન પધરામણી થઈ રહી છે.
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રાષ્ટ્રસંત પુણ્યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ સાહેબ પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવ હોવાના કારણે પ્રશાસકશ્રીના નિવાસ સ્થાન ગવર્નમેન્ટ હાઉસ મોટી દમણ ખાતે પ્રવચન કાર્યક્રમ યોજાશે. આ પહેલાં આવતી કાલે સવારે 9:00 કલાકે નાની દમણ દેરાસરથી રાષ્ટ્રસંત પૂજ્યશ્રીની ભવ્ય સ્વાગત યાત્રાનિકળશે.
તા.12મીના રવિવારે સવારે 10:00 કલાકથી વિદ્યાર્થીઓ માટે પવિત્ર પ્રેરણા આપનારૂં વિશેષ પ્રવચન યોજાશે. જ્યારે તા.13મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સવારે 10 કલાકે વિવિધ સમાજની મહિલાઓ માટે વિશેષ આયોજન તથા ગુરૂવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રસંત પુણ્યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ સાહેબના સામૈયાની પૂર્વ સંધ્યાએ સમસ્ત દમણ પણ જૈનમય બની ગયું હોય એવો માહોલ સર્જાયો છે અને આવતી કાલે મહારાજ સાહેબને સત્કારવા માટે જૈન સમાજમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ત્રણેય દિવસ કાર્યક્રમ બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.