-
સોમનાથ ગ્રા.પં.ના આગેવાન ઈશ્વરભાઈ પટેલે ગ્રામસભામાં વરસાવેલી આરોપોની ઝડી : સોમનાથ ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં ઠલવાતા કેમિકલ ભરેલા પ્રદુષિત ટેન્કર માટે પણ પંચાયત ઉપર ચીંધેલી આંગળી
-
સોમનાથ ગ્રા.પં.ના ઈશ્વરભાઈ પટેલ જેવી જાગૃતિ તમામ ગ્રામ પંચાયતના આગેવાનો રાખે તો દમણ જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિ ઉપર અવશ્ય રોક લાગશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17
ગઈ કાલ તા. 16મીનવેમ્બરના રોજ યોજાયેલી સોમનાથ ગ્રામ પંચાયતની ગ્રામ સભા તોફાની બનવા પામી હતી. ગામના આગેવાન શ્રી ઈશ્વરભાઈ પટેલે સરપંચ શ્રીમતી ચૈતાલીબેન અને તેમના પતિ શ્રી મહેન્દ્રભાઈ કામલી ઉપર સરકાર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયને કપડાથી ઢાંકી તેનો વપરાશ બંધ કરાવવાનો આરોપ સભામાં લગાવ્યો હતો.
શ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત તા. 24મી ઓગસ્ટના રોજ દમણમાં સ્વચ્છતા દિવસ મનાવવામાં આવી રહ્યો હતો તે દિવસે એક અધિકારીએ પોતાની મુલાકાત દરમિયાન શૌચાલયમાં ફેલાયેલી ગંદકી જોઈ સરપંચ શ્રીમતી ચૈતાલીબેનને ચેતવણી આપી સ્વચ્છતા જાળવવા નિર્દેશ આપ્યો હતો. ત્યારે આ ટોયલેટને સ્વચ્છ કરવાની જગ્યાએ સરપંચ શ્રીમતી ચૈતાલીબેનના પતિ શ્રી મહેન્દ્રભાઈ કામલીએ તાત્કાલિક કપડું મંગાવી ટોયલેટને ઢાંકીને બંધ કરી દીધુ હતું. આજે 80 દિવસ પસાર થવા છતાં વોર્ડ નં. પાંચની જનતા શૌચાલય બંધ હોવાના કારણે પરેશાન હોવાની રજૂઆત ગ્રામ સભામાં ઉપસ્થિત બી.ડી.ઓ.ને કરી હતી અને આ બાબતે યોગ્ય પગલા લેવા પણ વિનંતી કરી હતી.
શ્રી ઈશ્વરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યોની મીલીભગતમાં અહિ આવેલ ખાડીમાં બહારથી ટેન્કર મારફત લાવવામાં આવતા પ્રદુષિત કેમિકલને ઠાલવવામાં આવે છે.તદ્પરાંત સોમનાથ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ પણ દિન-પ્રતિદિન ફુલી-ફાલી રહી હોવાની જાણકારી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કમાવા માટેના અનેક સાધનો છે, પરંતુ જાહેર હિત અને લોકોની સલામતી અને સુરક્ષા સામે જો કોઈ સમસ્યા પેદા કરાશે તો વિશાળ હિતમાં તેનો સામનો કરવા શ્રી ઈશ્વરભાઈ પટેલે પોતાની તૈયારી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ ગ્રામ પંચાયત વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં બરદાસ્ત નહીં કરાશે.
પ્રારંભમાં સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીએ અગામી વર્ષ દરમિયાન કરાનારા વિકાસના કામોનો ચિતાર રજૂ કર્યો હતો. આ સભામાં શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નોની સામે તમામ નિરુત્તર રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, શ્રી ઈશ્વરભાઈ પટેલ જેવી જાગૃતિ જો તમામ ગ્રામ પંચાયતના આગેવાનો કે વિપક્ષ દ્વારા રાખવામાં આવે તો આવતા દિવસોમાં દમણની તમામ ગ્રામ પંચાયતોમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર રોક લાગી શકે છે અને સત્તાધારીઓ પણ ગાફેલ નહી રહી શકે.