પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ રાંધા મંડળમાં પક્ષના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારતીય જનતાના પાર્ટીના 44મા સ્થાપના દિવસ નિમિત્તે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને અન્ય દરેક જિલ્લા મથકો અને મંડળ કાર્યાલયો ઉપર પણ પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરી ઉજવણી કરી હતી.
ખાનવેલ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરના હસ્તે, સેલવાસ જિલ્લા અને શહેરમાં શ્રી અજયભાઈ દેસાઈના હસ્તે, અટલ ભવન પર ભારતીય સેનાના રિટાયર્ડ જવાન શ્રી શ્યામ સુંદર સિંહ દ્વારા પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે દાદરા ગામે શ્રી કમલેશ દેસાઈના હસ્તે પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, ભાજપા ‘સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે કામકરી રહી છે અને સામાજીક ન્યાય અને મહિલા સશક્તિકરણને ભાજપાએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. ભાજપ તેના પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજે તા.6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી દેશભરમાં સામાજીક ન્યાય સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રતિદિન જન સુખાકારી માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ સહ રાંધા મંડળના પ્રભારી શ્રી ધર્મેશસિંહ ચૌહાણે રાંધા મંડળ પ્રમુખ બાબનભાઈ માહલા, બૂથ પ્રમુખ શ્રી દિલીપભાઈ રમણભાઈ તથા કાર્યકરોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યને સાંભળવામાં આવ્યું હતું અને ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત પક્ષના ઝંડાનું ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.