હનુમાનજીના વિરાટ ભક્તોએ આજે હૃદયગમ સ્તુતિ-પ્રશસ્તિ, આરતી, ભજનો કરી ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: આજે ગુરૂવાર ચૈત્ર પૂનમનો દિવસ અતિ મહિમાવંતો અને દરેક હિંદુ સનાતનીઓ માટે અટલ આસ્થાનો દિવસ એટલે કે હનુમાન જયંતિનો અમુલ્ય દિવસ હોવાથી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશના વિસ્તારોમાં હનુમાન જયંતિની ખુબ આસ્થા સાથે ભાવિકોએ ભજન, કિર્તન, યજ્ઞ, મહાપ્રસાદ સાથે ઉજવણી કરી હતી.
આજે વાપીમાં જલારામ મંદિર, વાપી ટાઉન માર્કેટસ્થિત સંકટ મોચન મહાબલી હનુમાન મંદિર, બજાર રોડ ખાતે એકતા મિત્ર મંડળ, વાપી ટાઉન હનુમાન મંદિર, ચણોદમાં મરાઠી મિત્ર મંડળ, ડુંગરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ભજન, કિર્તન, યજ્ઞ, મહાપૂજા અને મહાપ્રસાદના આયોજન થયા હતા. જેનો હજારો ભાવિકાઓ લાભ લીધો હતો. હાઈવે જલારામ મંદિરમાં ગુરૂવારે હોવાથી પરંપરાગત બપોરે અને સાંજે હનુમાન જયંતિ ઉપલક્ષમાં બે-બે વાર મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી માંડી સાંજ સુધી અનેક મંદિરોમાં સૌના આરાધ્ય દેવતા શ્રી હનુમાનજી દાદાના જન્મ દિનની ઉજવણી હનુમાન જયંતિ સ્વરૂપે સજ્જડ આસ્થા, ભાવાત્મક રીતે સર્વત્ર ઉજવણી કરવામાં આવી હતી. દિવસ ભર ભજનની રમઝટ અનેક મંદિરોમાં ચાલી હતી.