બલીઠા દાંડીવાડમાં ચલા સ્વામિનારાયણ સ્કૂલ બસની અડફેટમાં બે ભાઈઓના કમકમાટી ભર્યા મોત : કાર અકસ્માતમાં સલવાવની મહિલાનું મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: આજે બુધવારનો દિવસ વાપીમાં ગોઝારો સાબિત થયો હતો. બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ત્રણ જીંદગી છીનવાઈ ગઈ હતી. ચલા સ્વામિનારાયણ ગુરુકૂળની સ્કૂલ બસની અડફેટમાં બાઈક આવી જતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા કાર ચાલકે ટક્કર મારી દેતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
બે અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ આજે બુધવારે બપોરે બલીઠા દાંડીવાડ પાસે બલીઠામાં રહેતા રણછોડભાઈ ભરવાડના પૂત્રો વિશાલ અને જય બાઈક નં.જીજે 15 એસએસ 3241 ઉપર સવાર થઈ વાપી ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગ ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલી ચલા સ્વામિનારાયણની સ્કૂલ બસ નં.જીજે 15 એટી 8315ના પાછલા વ્હિલમાં બાઈક આવી જતા બન્ને ભાઈઓનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણકારી બાદ આજુબાજુનાલોકોએ વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ બુધવારે સવારે બલીઠા હાઈવે ટોયોટો શો રૂમની નજીક સલવાવના 35 વર્ષિય પાર્વતીબેન પારસભાઈ નામની મહિલા હાઈવે ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક પુરપાટ વેગે આવી રહેલી કાર નં.ડીડી 03 ઈ 2148ના ચાલક અભિનવ પટેલે મહિલાને ટક્કર મારી દીધી હતી. કાર ચાલક પારડીનો હતો. પોલીસે એમ્બ્યુલન્સમાં ત્રણેય મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ જીંદગી છીનવાઈ ગયાની ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.