દાનહ જિ.પં. દ્વારા ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું કરાયેલું આયોજન
જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાએ પોતાના શાળા જીવનના અનુભવોનું આદાન-પ્રદાન કરી વિદ્યાર્થીઓને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા પ્રેરિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણને એક હથિયાર તરીકે ઉપયોગ કરી સમાજ ઘડતર માટે શરૂ કરેલા અભિયાનની કડીમાં આજે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ધોરણ 10ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન ડો. અબ્દુલ કલામ કોલેજ ડોકમરડીના સભાખંડ અને ખાનવેલની ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને શિક્ષણલક્ષી અભિગમના કારણે જિલ્લા પંચાયત દ્વારા આયોજીત કેરિયર કાઉન્સિલિંગના કાર્યક્રમમાં ડો. અબ્દુલ કલામ કોલેજ ડોકમરડીના સભાખંડમાં 800 વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા આ કાર્યક્રમનું સીધું પ્રસારણ ખાનવેલનીઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં 350 વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો વગેરેની પણ ઉપસ્થિતિ રહી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારો ખુલ્યા છે. રોજગારલક્ષી શિક્ષણની પણ અનેક તકો ઘરઆંગણે ઉભી થઈ છે. ત્યારે દાનહ જિલ્લા પંચાયત દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે શિબિરનું આયોજન કરી આવકારદાયક પહેલ કરી છે.
આ પ્રસંગે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પોતાના શાળા જીવનના અનુભવોનું આદાન-પ્રદાન વિદ્યાર્થીઓ સાથે કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિર્ધારિત ઊંચું લક્ષ રાખી તેને હાંસલ કરવા તરફ સખત મહેનત કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે એસ.એસ.સી. પછીના રોજગારલક્ષી અભ્યાસક્રમોની માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે દાદરા નગર હવેલીના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી સિદ્ધાર્થ જૈન, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. રિતેશ પરમાર, ચાર્ટરએકાઉન્ટન્ટ શ્રી શેઠિયા, વકિલ શ્રી મોહિત શાહ, આર્કિટેક્ટ શ્રી હાર્દિક પાંચાલ, કોલેજના પ્રોફેસર શ્રી પ્રકાશ પટેલ વગેરેએ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર માટે મનનીય માર્ગદર્શન આપ્યું હતું અને વાલીઓને પણ સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં મા ફાઉન્ડેશન વાપીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી વિડીયો પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ જિલ્લા પંચાયત દ્વારા નગર હવેલીના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું.