(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: રાષ્ટ્રીય ધોરીમાર્ગને ખારેલ પાસે જોડતા ખારેલ – રાનકુવા – રૂમલા – ધરમપુર મુખ્ય માર્ગ ઉપર હરણગામ સ્થિત કાવેરી નદી પરનો વર્ષો જુના પુલના કેટલાક પિલ્લરોમાં તિરાડ જોવા મળી રહી છે. બીજી તરફ આરસીસીમાં કેટલીક જગ્યાએ સળિયા પણ દેખાતા થઈ જવા પામ્યા છે.
આ માર્ગ પર દિવસ-રાત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. અને સારું એવું ટ્રાફિકનું ભારણ હોય છે. તેવા સંજોગોમાં પુલના કેટલાક પિલ્લરોમાં તિરાડ જોવા મળતા અને આરસીસીની સપાટીમાં સળિયામાં દેખાતા થઈ જતા પુલ જર્જરિત થયો હોવાની આશંકા સાથે સ્થાનિક આગેવાનો દ્વારા તાકીદે પુલની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 11×16 ના સ્પાન ધરાવતા આ પુલના પિલ્લરોની તિરાડ વધે અને પુલ વધુ જર્જરિત બને તે પૂર્વેમાર્ગ મકાન દ્વારા ગંભીરતા દાખવી મરામત હાથ ધરી પિલરોની મજબૂતાઈ વધારી વાહન ચાલકો માટે સલામત કરવામાં આવે તે જરૂરી છે.
જોકે માર્ગ મકાન દ્વારા આ પુલના સમાયંતરે જરૂરી નિરીક્ષણ મરામત માટેની તજવીજ હાથ ધરવામાં આવશે હોવાનું જાણવા મળેલ છે. ત્યારે મરામત ઝડપથી થાય એવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે.
માર્ગ મકાન ના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્યાનુસાર હરણગામના કાવેરી નદી પરનો પુલ એકદમ જર્જરિત નથી. આ પુલનું બે વખત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. અને મરામત માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે. એટલે મંજૂરી મળ્યેથી મરામત કરવામાં આવશે.