- દમણ અને દાનહમાં ઔદ્યોગિક કામદારોનું વ્યાપક પ્રમાણમાં ઉદ્યોગો અને કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહેલું શોષણ
- મોટાભાગના ઉદ્યોગોમાં 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવી નથી અપાતો ઓવરટાઈમઃ કેટલાક ઉદ્યોગોમાં મહિલાઓનું થતું શારીરિક આર્થિક અને માનસિક શોષણ
- સંઘપ્રદેશ પ્રશાસને કડક વલણ અખત્યાર કરવા આપેલા સંકેતથી કામદારોને ન્યાય મળવા પ્રગટેલું આશાનું કિરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને સુચનાથી કામદારોને લઘુત્તમ વેતન નહીં આપતાં ઉદ્યોગો-એકમો સામે પ્રશાસને કડક હાથે કામ લેવાના સંકેત આપ્યા છે અને આવતા દિવસોમાં કામદારોનું શોષણ કરતા ઉદ્યોગો સામે મોટી તવાઈ આવવાની પણ સંભાવના છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના ઉપ શ્રમ આયુક્ત સુશ્રી ચાર્મી પારેખે એકસરક્યુલર જારી કરી ઉદ્યોગો અને ઉદ્યોગ-દુકાન તથા અન્ય સંસ્થામાં અને કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કામદારોને મીનીમમ વેજીસ એક્ટ 1948ના પ્રાવધાન મુજબ તેમને પુરેપુરૂં વેતન મેળવવાનો કાયદેસર અધિકાર છે. દાદરા નગર હવેલીમાં સ્કીલ્ડ કામદારને પ્રતિદિન 8 કલાક લેખે રૂા.462/-, સેમી સ્કીલ્ડને રૂા.452/- અને અનસ્કીલ્ડ કામદારને રૂા.441/- નિર્ધારિત કરાયેલા છે. જો કોઈ ઉદ્યોગ, પેઢી કે કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન આપતા હશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાની સૂચના પણ સરક્યુલરમાં આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી સહિત દમણના પણ મોટાભાગના ઉદ્યોગોમાં કામદારોનું વ્યાપક પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે. 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવવા છતાં ઓવરટાઈમ નહીં આપવો, લઘુત્તમ વેતનની ચૂકવણી નહીં કરવી, મહિલા કર્મીઓનું થતું શારીરિક માનસિક અને આર્થિક શોષણ જેવી અનેક બદીઓનો સામનો ઔદ્યોગિક કામદારો પ્રદેશમાં કરી રહ્યા છે. તેની સામે સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલી કાર્યવાહી કામદારોને ન્યાય અપાવવા માટે એક આશાનું કિરણ બની હોવાની લાગણી પ્રગટ થઈ રહી છે.