-
સંઘપ્રદેશે શિક્ષણ ક્ષેત્રે કરેલા આવિષ્કાર ઉપર લાગેલી મહોરઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણને પ્રોત્સાહન આપવા અપનાવેલી મહત્ત્વાકાંક્ષી નીતિનું પ્રતિબિંબ
-
મોટી દમણની સરકારી ઝરી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની કુ. દ્રષ્ટિ મહેન્દ્ર ધોડી અને સાર્વજનિક વિદ્યાલય દમણના વિદ્યાર્થી હિરલ નરેન્દ્ર નકુમની દેશની શ્રેષ્ઠ 60 કૃતિઓમાં મળેલું સ્થાન
-
કેન્દ્રિય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે મળેલું પ્રમાણપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.11 : દેશની રાજધાની નવી દિલ્હી ખાતે ઈન્સ્પાયર એવૉર્ડ-માનક અંતર્ગત તા.09 થી 11 ઓક્ટોબર, 2023 દરમિયાન 10મી રાષ્ટ્ર સ્તરીય પ્રદર્શની અને પ્રોજેક્ટ પ્રતિયોગિતા સન્માન સમારંભનું આયોજન આજે વિજ્ઞાન ભવન ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રિય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડો. જીતેન્દ્ર સિંહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે વિદ્યાર્થીઓની કૃતિઓની પસંદગી થતાં રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પ્રદેશનું નામ રોશન થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણને પ્રોત્સાહન આપવા અપનાવેલી મહત્ત્વાકાંક્ષી નીતિનાભાગરૂપે દાદરા નગર હવેલી અને દમણના પાંચ વિદ્યાર્થીઓએ સ્ટેટ નોડલ ઓફિસર શ્રી હરેન્દ્રકુમાર સી. પાઠકના નેતૃત્વમાં સંઘપ્રદેશનું પ્રતિનિધિત્વ નવી દિલ્હી ખાતે ઈન્સ્પાયર એવોર્ડ માનક-2023માં કર્યું હતું.
સંઘપ્રદેશના વિદ્યાર્થીઓમાં સરકારી ઝરી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની કુ. દ્રષ્ટિ મહેન્દ્ર ધોડીએ ગાઈડ શિક્ષક શ્રીમતી ભારતીબેન એસ. પટેલના માર્ગદર્શનથી બનાવેલ કૃતિ અને સાર્વજનિક વિદ્યાલય દમણના વિદ્યાર્થી શ્રી હિરલ નરેન્દ્ર નકુમે ગાઈડ શિક્ષક શ્રી અંબરિશ કે. ઓઝાના માર્ગદર્શન હેઠળ બનાવેલ કૃતિઓની પસંદગી શ્રેષ્ઠ 60 કૃતિઓમાં થઈ હતી. જેમને કેન્દ્રિય વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ પ્રદર્શનીમાં સરકારી હાઈસ્કૂલ દુણેઠાના વિદ્યાર્થી શ્રી તન્મય સુરેશ હળપતિએ ગાઈડ શિક્ષક શ્રી તુષાર મહેતાના માર્ગદર્શન હેઠળ તથા સેલવાસ લાયન્સ ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી એસ.એમ.સૌમ્ય ગાઈડ શિક્ષક સુશ્રી દીપા નાયર અને સરકારી ઘોઘલા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની કુ. આશા ભરતગીરી ગોસ્વામીએ ગાઈડ શિક્ષક શ્રી જે.કે.પટેલના માર્ગદર્શનમાં બનાવેલ કૃતિઓનો પણ સમાવેશ થતો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે વિદ્યાર્થીઓની કૃતિ દેશની શ્રેષ્ઠ 60 કૃતિઓમાં સ્થાન પામતાંપ્રદેશે શિક્ષણના ક્ષેત્રે કરેલા આવિષ્કાર ઉપર પણ મહોર લાગી છે.