(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેન સાથે બેઠક કરી તેમના વિભાગના કામોમાં ગતિશીલતા લાવવા કમર કસી છે.
દાદરા નગર હવેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ તમામ સમિતિઓના ચેરમેનોને દિશા-નિર્દેશ આપી પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને વિવિધ પ્રોજેક્ટોના કાર્યાન્વયન સંબંધમાં મંડી પડવા સૂચન કર્યું હતું.
બેઠકમાં મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ, પંચાયત વિકાસ સૂચકાંક, મનરેગા યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને આવાસ પલ્સ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, ઘન અને પ્રવાહી કચરો વ્યવસ્થાપન, પીએમ પોષણ યોજના, પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાપન, પીડબ્લ્યુડી વિભાગના નવા અને જૂના કામો જેમાં પીડબ્લ્યુડીના રસ્તા અને જાળવણી વિષે ચર્ચા સાથેજિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને યુનિફોર્મ સમય પર મળવા વગેરે મુદ્દાઓ બાબતે ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
દરમિયાન ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપવા બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શિક્ષણ નિયામક અધિકારીને પત્ર લખવામાં આવ્યો હતો. જિલ્લા તમામ ગ્રામ પંચાયતોમાં નવા ઘરની નોંધણી કરવા બાબતે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા આયોજન અને વિકાસ સત્તા કચેરીમાં લેટર લખવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતમાં ફિક્સ પગાર પર કામ કરતા કામદારોને યુ.ટી. પ્રશાસનના લઘુત્તમ વેતન મુજબ પગાર મળવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો અને લઘુતમ વેતન પરિપત્ર લાગુ પાડવામાં આવ્યો છે ત્યારથી એમને એનો લાભ મળશે. હાલ જે 14 પંચાયતોમાં સ્ટ્રીટ લાઈટ લાગવામાં આવવાની છે એને પ્રદેશની દરેક પંચાયતમાં લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.
દાનહમાં દરેક ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને જાગૃત કરવા જેથી વીજળીની બચત થશે અને એમની આવકમાં પણ વધારો થશે. દાનહમાં યુટી પેન્શન સ્કીમના લાભાર્થીઓને કોઈપણ અડચણ ન થાય અને પેન્શન ટાઈમ પર મળી રહે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં જિલ્લા પ્રશાસન દ્વારા વધુમાં વધુરોજગાર મેળાનું આયોજન કરવા જેથી વધુમાં વધુ ગ્રામીણ બેરોજગાર વ્યક્તિને રોજગારી મળી શકે. પ્રદેશમાં દરેક સિંચાઈની જૂની યોજનાની ચકાસણી કરીને રીપેરીંગ હંગામી ધોરણે કરવા, આયુષ્યમાન ભારત સ્કીમની જાણકારી તમામ ગ્રામજનોને મળે એ અંગે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યું હતું.
વિદ્યુત વિભાગ દ્વારા નવા વીજમીટર જોડાણની વિસ્તૃત માહિતી તમામ ગ્રામજનોને મળવી જોઈએ એમ જણાવ્યું હતું. પ્રદેશમાં ચૌમુખી વિકાસ કરવા ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણાં કરી તાત્કાલિક રીતે લાગુ કરવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ તમામ સમિતિના ચેરમેનોને નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા તથા વિવિધ સમિતિઓના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.