નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા તથા નવરાત્રી ઉત્સવનું ધાર્મિક મહત્ત્વ જાળવવા સેલવાસની સોસાયટીઓમાં જઈ પોલીસ ગરબા આયોજકો-સંસ્થાઓ સાથે યોજેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. દાનહ પોલીસે વિવિધ સોસાયટીઓમાં પહોંચી નવરાત્રીના આયોજકો સાથે બેઠક કરી હતી અને નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમિયાન પાળવામાં આવનારા નિયમો અંગે માર્ગદર્શન તથા સૂચનો કરવામાં આવ્યા હતા.
પોલીસના પરિપત્ર અનુસાર આયોજન સ્થળ પર ફાયરની સુવિધા, પાર્કિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, કચરા નિકાલની વ્યવસ્થા, સાફ-સફાઈ, ગરબાચોકમાં નશા પર પ્રતિબંધ, લાઉડ સ્પીકરની સમય સીમા, પ્રથમોપચારની વ્યવસ્થા, વાહનોના અવર જવરમાં અવરોધ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા વગેરે જરૂરી હોવાનું જણાવ્યું છે. મહોત્સવ દરમ્યાન રાજકીય પ્રતિનિધિઓની ગતિવિધિઓ પર પ્રતિબંધ, ગરબા ચોકમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટેસ્વયંસેવકોની વ્યવસ્થા કરવા જેવા અનેક નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા આયોજકોને સૂચિત કરવામાં આવ્યા છે. ઉપરાંત પરિપત્ર મુજબ પોઇન્ટ નંબર 19માં ચોખ્ખુ લખેલ છે કે અશ્લીલ કૃત્ય અનેઅશ્લીલતા જેવી કોઈપણ ગતિવિધિ નહિ થવી જોઈએ. એવામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન દરેકે ડી.જે. વાંજિત્રો અને આયોજકો તથા સંસ્થાપકોને નિવેદન કરવામાં આવ્યું છે કે નવરાત્રી પર્વમાં ફક્ત માઁ અંબાની જ આરાધના જ કરવા અપીલ કરી છે, ગરબામાં અશ્લીલ ગીતોનો ઉપયોગ કરવો નહીં જેથી ધાર્મિક તહેવારનું આયોજન સફળતાપૂર્વક અને હર્ષોલ્લાસથી થઈ શકે.
પોલીસ વિભાગના અધિકારીઓએ સોસાયટીના લોકોને પણ નવરાત્રી તહેવાર નિમિતે સંપૂર્ણ સહયોગ આપવા તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ સહયોગ મળશે એવી બાંહેધરી આપી હતી.