વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી
જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના કુલ 42 વિષય નિષ્ણાંતોની મોબાઈલ નંબર સાથે માહિતી અપાઈ
પરીક્ષા દરમ્યાન સીસીટીવી રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી
પરીક્ષા દરમિયાન સરકારી પ્રતિનિધિ બોર્ડના આંખ અને કાન સમાન છે”- ઝોનલ અધિકારી
બોર્ડની પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે ‘‘PATA” એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વલસાડ જિલ્લામાં આગામી તા.11 થી 26 માર્ચ 2024 દરમ્યાન ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો.10 નાં 97 બિલ્ડીંગમાં 33474 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 સામાન્ય પ્રવાહની 39 બિલ્ડીંગમાં 14810 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની 28 બિલ્ડીંગમાં 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના અધ્યક્ષસ્થાને બીએપીએસ વલસાડના અબ્રામા, ધારાનગર ખાતે આવેલી સ્વામીનારાયણ હાઈસ્કુલમાં 164 સ્થળ સંચાલકો અને 164 સરકારીપ્રતિનિધિઓની બેઠક મળી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ ધો.10 અને ધો.12 (સા.પ્ર./ વિ.પ્ર.)નાં વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પાપ્ત કરે ‘‘તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ” તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જેસીઆઈ વલસાડના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઈન નં. 7487004443 વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ માધ્યમિક વિભાગ માટે અલગ અલગ વિષયનાં કુલ 24 વિષય નિષ્ણાતો તેમજ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ મળી અલગ અલગ વિષયનાં કુલ 42 વિષય નિષ્ણાંતોની મોબાઈલ નંબર સાથે માહિતી આપી હતી.
એચ.એસ.સી. ઝોનલ ડૉ.બિપીનભાઈ પટેલ (સા.પ્ર./ વિ.પ્ર.) દ્વારા સ્થળ સંચાલકોને પરીક્ષા દરમ્યાન કરવાની કામગીરી તેમજ સુચારૂ આયોજન અંગે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એસ.એસ.સી. ઝોનલ અધિકારી ગુલાબભાઈ લુહાર દ્વારા પરીક્ષા દરમ્યાન સીસીટીવી રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એસ.એસ.સી. ઝોનલ અધિકારી સંદીપભાઈ પટેલ દ્વારા સરકારી પ્રતિનિધિઓએ પરીક્ષા દરમ્યાન તેમના દ્વારા કરવામાંઆવનાર કામગીરી અંગે જણાવતા કહ્યું કે, ‘‘સરકારી પ્રતિનિધિએ બોર્ડના આંખ અને કાન સમાન છે”. મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે ‘‘ભ્ખ્વ્ખ્” એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે એસ.એસ.સી. ઝોનલ ગુલાબભાઈ લુહાર દ્વારા સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિ અને બીએપીએસ સ્વામીનારાયણ હાઈસ્કુલના આચાર્ય મિતલબેન તેમજ અમિતસિંહનો આભાર વ્યક્ત કરી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભેછાઓ પાઠવી હતી. બેઠકમાં દમણ અને સેલવાસના શિક્ષણાધિકારી, એસએસસી અને એચએસસી ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના વર્ગ-2 નાં આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.