(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના રખોલી દમણગંગા નદીના પુલ પરથી કરાડ ગામના યુવાને છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. આ પુલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કૃણાલ સુરેશભાઈ ગાંગોડા (ઉ.વ.22) રહેવાસી ખાડીપાડા, કરાડ. જેણે રખોલી દમણગંગા નદીના પુલ પરથી કૂદકો મારતાં નીચે પથ્થર ઉપર પડતાં માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજા થઈ હોવાના કારણે કૃણાલ ગાંગોડાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસની થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા આ યુવાન દાનહની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને કરાડ ગામે રહેતો હોવાની ઓળખ થઈ હતી. ત્યારબાદ પોલીસે મૃતક કૃણાલના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ લાશનો કબ્જો લઈને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી. આ યુવાને કયા કારણસર મોતની છલાંગ લગાવી એનું કારણ જાણી શકાયું નથી.
અત્રે નોંધનીય છે કે, રખોલી પુલ પરથી વારંવાર યુવક-યુવતિઓ દ્વારા કૂદકો મારી જીવન ટૂંકાવવાના બનવોબન્યાના સમાચારો આવે છે. અહીં સુરક્ષા માટે પ્રશાસન દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પણ મુકવામાં આવ્યા હોવા છતાં પણ આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે ઘણાં સમયથી પુલની બંને બાજુ જાળી લગાવવાની લોકો દ્વારા કરાઈ રહેલી માંગ જો પૂર્ણ કરવામાં આવે તો આવી ઘટનાને રોકી શકાય એમ છે. આ બાબતે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ પુલ પરથી યુવાઓ દ્વારા કરાતા આત્મહત્યાના પ્રયાસ અંગે પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. પરંતુ પ્રશાસન દ્વારા તેના તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતુ નથી.