દમણ બ્રહ્મ સમાજના સંગઠનની સાથે સાથે ઈતર સમાજને પણ મદદરૂપ થઈ શકે એ પ્રકારની કાર્યનીતિ અપનાવશેઃ અપૂર્વ પાઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ગઈકાલ તા.7મી ઓગસ્ટના રવિવારે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજની સામાન્ય સભા વાત્સલ્ય સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાત્સલ્ય શાળામાં મળી હતી. જેમાં સ્નેહમિલન સમારંભ પણ યોજાયો હતો.
આ પ્રસંગે સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી રાજેશભાઈ ઉપાધ્યાયનો કાર્યકાળ સમાજના પ્રમુખ તરીકે પુરો થતાં તેમણે પોતાના અનુગામી પ્રમુખ તરીકે શ્રી અપૂર્વ પાઠકના નામની જાહેરાત કરી હતી.જેને સર્વાનુમતે સભાએ અનુમોદન આપ્યું હતું.
સમાજના મહામંત્રી શ્રી જયેશભાઈ જોષીએ વિતેલા વર્ષોમાં સમાજ દ્વારા થયેલ કાર્યોનો અહેવાલ અને હિસાબની જાણકારી આપી હતી.
નવનિયુક્ત પ્રમુખ શ્રી અપૂર્વ પાઠકે પોતાની 25 કારોબારી સભ્યોની સમિતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ-દમણ પોતાની વિચારધારા અને રાષ્ટ્રભાવનાથી વિચલિત થયા વગર બ્રહ્મ સમાજના સંગઠનની સાથે સાથે ઈતર સમાજને પણ મદદરૂપ થઈ શકે એ પ્રકારની કાર્યનીતિ અપનાવશે. તેમણે આવતા દિવસોમાં સમાજ દ્વારા હાથ ધરવામાં આવનાર કાર્યક્રમની રૂપરેખા આપી દરેક કાર્યોની સફળતા માટે સમાજના દરેક સભ્યોના સાથ અને સહકારની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી દિનેશભાઈ જોષી અને શ્રી ભરતભાઈ ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સમારંભના પ્રમુખ પદેથી શ્રી રાજેશભાઈ ઉપાધ્યાયે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
પૂર્વ પ્રમુખ શ્રી પ્રજ્ઞેશ પટેલ દ્વારા આભારવિધિ આટોપવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી શ્રી જયેશ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.