વાપી ગુંજન વિસ્તારની વધી રહેલી ગીચતા અને ટ્રાફિકની સર્જાતી સમસ્યા અંતર્ગત પોલીસે કરેલી કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપીનો ચોતરફો થયેલ વિકાસ અને વધી રહેલા વાહનોની સંખ્યાને લઈ ગુંજન વિસ્તાર ટ્રાફિક સમસ્યાના ભરડામાં દિન-પ્રતિદિન આવી ચૂકેલો રહે છે તેથી ટ્રાફિક પોલીસે ગુંજન વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ લારી, ગલ્લા, કેબીનો, પાથરણા હટાવવાની કામગીરી કરી હતી.
તાજેતરમાં નોટિફાઈડ બોર્ડની મળેલી મિટીંગમાં પણ ગુંજન વિસ્તારના અંબામાતા મંદિર રોડ આસપાસ, કોપરલી રોડ, મોરારજી સર્કલ રોડ અને ગુંજન મેઈન રોડ હાઈવે સર્વિસ રોડ ઉપરના દબાણો દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે અનું ટ્રાફિક પી.એસ.આઈ.પંતની આગેવાની હેઠળ ગુંજન વિસ્તારમાં લારી-ગલ્લા, કેબીનોને હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે હાલમાં તો દબાણો જરૂર દૂર થયેલા જોવા મળે છે પણ ફરી પાછા લોકો યથાવત જાહેર રોડ ઉપર લારી-ગલ્લા ઉભા કરી દેતા હોય છે તેથી આ કામગીરી સતત અવાર નવાર થતી રહેવી જોઈએ તેમજ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. બીજું નોટિફાઈડે માનવતાના ધોરણે એવા લોકો માટે વૈકલ્પિક જગ્યા પણ ફાળવવી જરૂરી છે. કારણ કે દબાણકર્તા સાવ સામાન્ય લોકો હોય છે અને તેમની હાટડીઓ જ એમનું ગુજરાન કરે છે.