સેવા મિત્ર મંડળના યુવાનોએ ગુંદલાવથી ધરમપુર ચોકડી સુધીના હાઈવે ઉપરના ખાડાનું પુરાણ કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વર્તમાનમાં સતત ત્રણ મહિના સુધી લગાતાર વરસાદ વરસતા છેલ્લા દશ વર્ષમાં ક્યારેય ના પડયા હોય તેવા હાઈવે અને આંતરિક રોડો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ઠેર ઠેર પથરાઈ ચૂક્યું છે. નિર્દોષ વાહન ચાલકોના યમદુત બનેલા હાઈવેના ખાડા પુરવામાં જાહેર બાંધકામ વિભાગ અને હાઈવે ઓથોરિટી તદ્દન નિષ્ફળ નિવડી છે ત્યારે વલસાડ સેવા મિત્ર મંડળના યુવાનોએ જાતે શ્રમયજ્ઞ કરીને ધરમપુર ચોકડીથી ગુંદલાવ સુધી હાઈવે ઉપરના ખાડાઓનું પુરાણ કર્યું હતું તેથી વાહન ચાલકો નિરાંત અનુભવતા જોવા મળેલા. પરંતુ જે તંત્રની નૈતિક જવાબદારી છે તેવા તંત્ર ઓફીસોમાં હવા ખાઈને માત્ર તમાસો જોઈ રહ્યા છે તેઓને વલસાડના યુવાનોએ તાર્કિક લબડાક મારી સુચક બોધપાઠ પહોંચાડયો છે.
વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધીનો નેશનલ હાઈવે વરસાદમાં ખાડા હાઈવે બનીચુક્યો છે ત્યારે લોકરોષ અને મીડિયા અહેવાલો બાદ જાહેર બાંધકામ વિભાગ અને હાઈવે ઓથોરીટીએ હાઈવે ખાડા પુરવાની થૂંક લગાડવા જેવી ડોળ દેખાડવાની કામગીરી કરી સંતોષ માણી રહી છે. તો બીજી તરફ નિર્દોષ વાહન ચાલકો એક પછી એક ખાડાઓ લઈ પટકાઈ પટકાઈ મોતને ભેટી ચૂક્યા છે છતાં પણ રેઢીયાળ તંત્ર હજુ નિરાંતે પોઢી રહ્યું છે. પ્રજાનો વધુ જનઆક્રોશ વિફળે તે પહેલાં રોડોની મરામત થવી જરૂરી છે. એક બે નહી વાપી સહિત જિલ્લાના તમામ રોડ બેહાલ થઈ ચૂક્યા છે. રોજના અકસ્માત, ટાયર પંચર જેવી ઘટતી ઘટનાઓમાં રોડના ખાડા જ જવાબદાર બની ચૂક્યા છે.