(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૫
ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા નજીક માટીના થર જામી જતા અકસ્માત સર્જાવાના અખબારી અહેવાલ માર્ગ મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
વાહન વ્યવહારથી દિવસ-રાત ધમધમતા ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા નજીક માર્ગની સપાટી ઉપર માટીના થર જામી જતા સામાન્ય વરસાદી ઝાપટામાં માર્ગની સપાટી ચીકણી થઈ જતા ટુ-વ્હિલર વાહનો સ્લીપ થતા વારંવાર અકસ્માતના બનાવો બની રહ્ના હતા.
આ ઉપરાંત માટીના પગલે ધૂળની ડમરીઓ ઉડતા આ સમગ્ર વિસ્તાર ધુળિયો બની જતા ખાસ કરીને ટુ-વ્હિલર વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ રહી હતી. આ વિસ્તારમાં આંતરિક માર્ગો પરથી આવતા માલવાહક વાહનોના ટાયર સાથે આવતી-માટી અને વરસાદી પાણીના પૂરતા નિકાલની વ્યવસ્થાના અભાવે સમસ્યા સર્જાય રહી હતી. આ અંગે કુકેરીના વેપારી અગ્રણી શ્રી રાકેશસિંહ દરબાર દ્વારા માર્ગ મકાન વિભાગમાં રજૂઆત પણ કરાઈ હતી.
ઉપરોક્ત સમસ્યા અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માટીના થર ખોદીને માટીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન દ્વારા બામણવેલ પાટિયા નજીક માર્ગની સપાટી પરથી માટીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તો માર્ગનું આયુષ્ય વધવા સાથે અકસ્માતોના બનાવો પણ ઘટશે. ત્યારે માર્ગ મકાન દ્વારા નક્કર કાર્યવાહી થાય તે જરૂરી છે.