(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકામાં દેહરી, સોળસુંબા અને ઉમરગામ સહિત ઘણા ગામડાઓમાં બોગસ ખેડૂત બનાવવાનું માફિયાઓ દ્વારા નેટવર્ક ચલાવવામાં આવ્યું હોવાની ભૂતકાળમાં ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પરંતુ અધિકારીઓની અને માફિયાઓની સાંઠગાંઠના કારણે તપાસ પ્રક્રિયા દરમિયાન અપેક્ષા મુજબના પરિણામો આવી શકયા નથી.
હાલમાં ઉમરગામ મામલતદાર કચેરીમાં ઉમરગામના સુંદરવન ખાતે મિલકત ધરાવતા ઉદ્યોગપતિ અને મિલકત ધારક કિશોરભાઈ વાડીલાલભાઈ સંઘવી સહિત પરિવારના નવ સભ્યો સામે સર્વે નંબર 81/999, 82 / ષ્ટ4/998, 82 / ષ્ટ5/1004 મિલકત સામે ખેડૂત ખાતેદાર તરીકેની ખાતરી થતી ન હોવાનું જણાવી ખરાઈની તપાસ પ્રક્રિયા ચાલુ કરી છે. તેવી જ રીતે સોળસુંબાના મિલકતધારક મહમદ હબીબ મહમદ ઉમર લાકડાવાલા સામે પણ સર્વે નંબર 25/1/ 2—1041 મિલકત સામે ખરાઈ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ બંને ઘટનામાં નામદાર સરકાર શ્રી ઉમરગામ અરજદાર બની બંને ઘટનામાં સામેવાળાઓ સામે લેખિત જવાબ કે દસ્તાવેજ રજૂ કરવા મુદત આપવામાં આવી છે.
ઉમરગામ મામલતદાર કચેરીની આપ્રકારે ખરાઈ પ્રક્રિયાની ચાલુ કરી તપાસના કારણે ઉમરગામ તાલુકામાં ઘણા બોગસ ખેડૂતો અને બોગસ ખેડૂતોને મદદ કરનારાઓ ભુમાફિયામાં હડકપ મચેલી છે. આ ઘટનામાં મામલતદારશ્રીએ સામેવાળાઓને આપેલી પુરાવા રજૂ કરવાની મુદત વીતી જવા પામી છે. સામેવાળા પુરાવા રજૂ કરવામાં સફળ થયા છે કે નહીં એની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ તપાસના અંતે યોગ્ય પરિણામ આવશે એવું આકલન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સંપૂર્ણ વિગત તપાસ કરી મદદ કરનાર ભૂમાફિયા અને સંકળાયેલા અધિકારીઓને પણ બેનકાબ થવા જોઈએ એવી પ્રજામાં લાગણી પ્રવર્તિ રહી છે. આમ ઉમરગામ અને સોળસુંબા તેમજ દેહરીના ખાતેદારોમાં આપવામાં આવેલી એન્ટ્રીઓની નોંધ ક્રોસ ચેકિંગ કરી તપાસવામાં આવે તો ઘણા મોટા માથાઓ બેનકાબ થઈ શકે એમાં બે મત નથી.
—-