વન વિભાગ દ્વારા 500 હેક્ટરમાં કુલ 8 લાખ વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવાનું લક્ષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા આગામી 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણની તૈયારી આરંભી દીધી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તા.5મી જૂન, 2024ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા પ્રદેશમાં વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ કરવાની કવાયત હાથ ધરી છે. હવે ચોમાસાની ઋતુને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વરસાદના આગમનની સાથે જ વનવિભાગ દ્વારા પ્રદેશને લીલુંછમ બનાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવામાં આવશે. સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જંગલ વિભાગની જમીન, ખુલ્લી-પડતર સરકારી જમીન, સરકારી કચેરીઓની આજુબાજુ પડેલી ખાલી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
ચોમાસાનો પ્રારંભ થાય એ પહેલાં જ વૃક્ષારોપણ માટે સંઘપ્રદશેના વન વિભાગ દ્વારા દાદરા નગર હવેલીમાં જંગલની ખુલ્લી પડેલી જમીનમાં ખાડા ખોદીને તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં ફલાંડી, વાસોણા સહિત વિવિધ નર્સરીમાં તૈયાર કરાયેલા વિવિધ વૃક્ષોના છોડોને આ ખાડાઓમાં રોપવામાં આવશે. આ વર્ષે વન વિભાગ દ્વારા 500 હેક્ટરમાં આશરે 8 લાખ જેટલા છોડવાનું વાવેતર કરવાનુંલક્ષ્ય છે. આ કાર્યક્રમની શરૂઆત વન વિભાગની કચેરી નજીકથી શરૂ કરી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં લીમડો, પીપળો, વડ, ગુલમહોર સહિત અલગ અલગ પ્રકારના છોડોનું વાવેતર કરવામાં આવશે.