(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધતા શૈક્ષણિક વ્યવસાયીકરણ પર લગામ લગાવવા માટે શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા વધતા શૈક્ષણિક માફિયાને ખતમ કરવા માટે 15 જેટલી સરકારી શાળાઓમાં ધોરણ 1થી સી.બી.એસ.ઈ. બોર્ડના ધોરણો શરૂ કરી દીધા છે. જેમાં દાનહના 18,074 વિદ્યાર્થીઓ મફત શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. પરંતુ વર્ષ 2024-25થી હવે શરૂ થનાર શૈક્ષણિક સત્રમાં આ 15 શાળાઓમાં શિક્ષણ વિભાગ ધોરણ નવના ધોરણો શરૂ કરવા જઈ રહ્યું છે. શિક્ષણ વિભાગના આ પગલાંથી ગરીબ આદિવાસી પરિવારો અને અન્ય ગરીબ પરિવારોની ઈચ્છા પુરી થશે. જેઓએ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ સી.બી.એસ.ઈ. બોર્ડમાં ભણાવવાના સપના જોયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જ એના માટેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને સી.બી.એસ.ઈ. બોર્ડની સાથે એફીલિએશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
દાનહમાં વર્ષ 2012થી સી.બી.એસ.સી.ના ધોરણ 1ની શરૂઆત કરવામાં આવી હતી એના માટે સી.પી.એસ. દાદરાથી શરૂઆત કરી હતી. સી.પી.એસ. ગલોન્ડા પ્રાઈમરી સ્કૂલ, કીલવણી પ્રાઈમરી સ્કૂલ, રાંધા જી.પી.એસ., ખાનવેલ પ્રાઈમરી સ્કૂલ, દૂધની પ્રાઈમરી સ્કૂલ, આંબોલી સી.પી.એસ., નરોલી પ્રાઈમરી સ્કૂલ, ખરડપાડા સી.પી.એસ., રખોલી પ્રાઈમરી સ્કૂલ, પાદરીપાડા પ્રાઈમરી સ્કૂલ, દપાડા સી.પી.એસ., સેલવાસ પ્રાઈમરી સ્કૂલ, કાંકરિયા ફળિયા પ્રાથમિક સ્કૂલ, દયાત ફળિયા સામેલ છે. શિક્ષણ વિભાગ આ 15 સ્કૂલોમાં મફત ધોરણ 1થી આઠમા સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે એમાં પાંચ શાળામાં ધોરણ 9નું શિક્ષણ શરૂ થશે. જેમાં સી.પી.એસ. દાદરા, જી.પી.એસ. ખાનવેલ, સી.પી.એસ. નરોલી, જી.પી.એસ. રખોલી અને સી.પી.એસ. સેલવાસને સામેલ કરવામાં આવ્યા છે.
દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 46,442 વિદ્યાર્થીઓ મફત શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે જેમાં 18,074 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ શાળામાં છે અને આ દરેક વિદ્યાર્થી સી.બી.એસ.ઈ. બોર્ડની અંગ્રેજી માધ્યમ સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે. હવે અહીં વિદ્યાર્થીઓ જે ધોરણ 8માં છે તેઓ પાંચ સ્કૂલમાં ધોરણ 9નું શિક્ષણ પ્રાપ્ત કરીશકશે.