(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: ઉમરગામ પાલિકાએ હાઉસિંગ અને નિર્મળ ગુજરાત વિભાગ દ્વારા જારી કરેલા આદેશ મુજબ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કરવામાં આવનારી કામગીરીનો પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલ સિંહ અને પ્રમુખશ્રી મનીષભાઈ રાય તેમજ કારોબારી અધ્યક્ષશ્રી અંકુશભાઈ કામળીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ પાલિકાના સ્ટાફ અને કર્મચારીઓએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. આજરોજ ઉમરગામ પાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી અંકુશભાઈ કામડી અને પાલિકાના એન્જિનિયરશ્રી સુભમભાઈ નાયક તેમજ પાલિકાના સ્ટાફની ઉપસ્થિતિ સાથે કામરવાડ તળાવ તેમજ કોસ્ટલ હાઈવે નજીકના ડમ્પિંગ સાઈડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલિકાના વિવિધ સ્થળોએ સાફ સફાઈની કામગીરીનો પણ પ્રારંભ કરી દીધો છે.પાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા નજીકના ભૂતકાળમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘણા કામ કરેલા છે જે જોતા હાલમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ચાલનારી સતત 15 દિવસ સુધીની કામગીરીમાં અસરકારક પરિણામ લાવવા માટે પૂરેપૂરું ધ્યાન આપી મોનિટરિંગ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત 14 જેટલા સ્થળોએ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણની કામગીરી કરવાની છે. પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવનારી પખવાડિયાની દૈનિક કામગીરીની સમીક્ષા અને યાદી તૈયાર કરવા માટે નોડલ ઓફિસર તરીકે આર સી એમ કચેરી સુરતથી શ્રીમતી ઉર્વશીબેન લાડની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.