ધુમ્રપાનના બંધાણી બનેલા‘સરસ્વતીચંદ્ર’, ‘શોભા સોમનાથ કી’ ‘કેસર’ જેવી પ્રસિદ્ધ ટેલીવિઝન શ્રેણીના નિર્દેશક અરવિંદ બબ્બલે સિગારેટ પીવાનું કેવી રીતે છોડયું…?
સંત પુરુષના આભા મંડળથી થતા પરિવર્તનનો અનુભવેલો સાક્ષાત્કાર
વાત છે એક ટીવી શો અને ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતાની.
નામ છે શ્રી અરવિંદ બબ્બલ.
2 માર્ચ, 1965ના રોજ હાથરસ, ઉત્તર પ્રદેશમાં જન્મેલા અરવિંદજીએ ‘સરસ્વતીચંદ્ર’, ‘શોભા સોમનાથ કી’, ‘કેસર’ જેવી અનેક ટેલિવિઝન શ્રેણીઓનું નિર્દેશન કર્યું છે.
1986-87માં હિન્દી ફિલ્મોના જાણીતા નિર્દેશક લેખ ટંડનના સહાયક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. ટૂંકા સમયગાળામાં તેમણે ફિલ્મી જગતમાં નામના મેળવી લીધી હતી. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ટેલિફિલ્મ ‘આખિરકાર’ હતી.
2014થી 2015 દરમ્યાન ‘લાઇફ ઓકે ચેનલ’ પર પ્રસારિત કરવામાં આવેલી તેમના દ્વારા નિર્દેશિત ‘મહાકુંભઃ એક રહસ્ય, એક કહાની’ હિન્દુ પૌરાણિક ટેલિવિઝન શ્રેણી માટે તેમને ન્યૂયોર્ક ફેસ્ટિવલ્સ ઇન્ટરનેશનલ ટેલિવિઝન અને ફિલ્મ એવોર્ડ્સ, 2016માં શ્રેષ્ઠ નિર્દેશક (ભારત) શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. એમની આ પ્રતિભા નિહાળી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના કેટલાંક સંતોએ એક વ્યસનમુક્તિની ફિલ્મના નિર્દેશન માટે તેમનો સંપર્ક કર્યો. જો કે તેમણેઆ કામ માટે સ્પષ્ટ અણગમો જ બતાવ્યો. તેમ છતાં સંતોના આગ્રહથી તેમણે એ વ્યસનમુક્તિની સ્ક્રિપ્ટ હાથમાં લીધી.
વ્યસનમુક્તિની ફિલ્મનું નિર્દેશન તેમને માટે એક સમસ્યા હતી. કારણ કે તેઓ જ પોતે ચેઈન સ્મોકર હતાં. કદાચ સ્મોકર તરીકે પણ એવોર્ડ મળે તેવાં સ્મોકિંગના ક્ષેત્રે તેમના અનેક પરાક્રમો અચંબિત કરી દે તેવાં છે. તેઓ દરરોજની 45 સિગારેટ પીતાં. જો શુટીંગ હોય તો 80 થી પણ વધુ સિગારેટ થઈ જાય! ધુમ્રપાનના આ વ્યસન માટે તે કંઈ પણ કરવા તૈયાર રહેતા. સિરિયલ ‘મહાકુંભ’નું શુટીંગ પોલન્ડમાં થવાનું હતું. ત્યાં પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડે! અને તે દરમ્યાન તેઓ ફલાઈટમાં ધુમ્રપાન ન કરી શકે. તેથી પ્રોડક્્શન ટીમને તેમણે કહેલું કે સિગારેટ પીધા વિના તેઓ આટલી લાંબી મુસાફરી ન કરી શકે! એટલે એમની પોલેન્ડની બ્રેકજર્ની કરવામાં આવે. તેમની મુસાફરી મુંબઈથી પૉલેન્ડ વાયા દુબઈ, મ્યુનિક અને મોસ્કો ગોઠવવામાં આવી. જેથી તેઓ દર બે-ત્રણ કલાકે સિગારેટ પી શકે. તેમને પૉલેન્ડ પહોંચતા બાવીસ કલાક થયેલાં!
જ્યારે પોલેન્ડથી ભારત આવતાં હતાં ત્યારે તેમના વ્યસનને ભારે વેધ લાગ્યો. જ્યારે મોસ્કો પહોંચ્યા ત્યારે ખબર પડી કે બે મહિના પહેલાં જ મોસ્કો એરપોર્ટ ‘નો સ્મોકીંગ ઝોન’ તરીકે જાહેર થયુંહતું. અહીં તેમને ચાર કલાક રોકવાનું હતું. ચાર કલાક સિગારેટ ન પીવાય તો તેમને માથે આભ ફાટી જાય તેવી સ્થિતિ સર્જાય જાય! અહીં એરપોર્ટ પર જો સ્મોકીંગ કરતાં પકડાય તો ભારતના ચલણ પ્રમાણે એક લાખ વીસ હજાર રૂપિયાની પેનલ્ટી ભરવી પડે! તેમના કાર્ડમાં અઢી-ત્રણ લાખ રૂપિયા જમા હતા.
એમની સાથે સિગારેટના ભારે શોખીન એક સહયોગી હતા. તેમની મદદથી એક લાખ વીસ હજાર રૂપિયાની પેનલ્ટી ભરવાની તૈયારી સાથે એરપોર્ટના વૉશરૂમમાં વારાફરતી ચોકી કરી, ચોરીછૂપીથી તે બંનેએ સીગરેટ પીધી! તેમના વ્યસનને દાદ આપવી પડે!
મોરેશિયસમાં ફિલ્મ શુટીંગ વખતે તેમને હળવો હાર્ટ એટેક આવેલો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં. ભારતમાં આવ્યા પછી એક વિખ્યાત હાર્ટ સ્પેશ્યાલીસ્ટે તેમને સ્પષ્ટ રીતે ધુમ્રપાન છોડવા જણાવ્યું. તેમ છતાં પણ તેમનો ધુમ્રપાન પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહીં! છેલ્લાં પાંત્રીસ વર્ષથી વ્યસનના પાંજરામાં પુરાયેલા આ પંખી માટે નીલગગનમાં વિહરવાની વાત તો દૂર હતી, પરંતુ હરિયાળીના લીલા રંગની કલ્પના પણ નો’તી થઈ!
આવી વ્યક્તિ ‘વ્યસનમુક્તિ’ની ફિલ્મનું નિદર્શન કેવી રીતે કરે? આમેય તેમને આ ફિલ્મ બનાવામાં બિલકુલ રસ નો’તો. તેમ છતાં પણ તેમણે યુટ્યુબ દ્વારા બી.એ.પી.એસ.સંસ્થા અનેપ્રમુખ સ્વામી મહારાજ અંગે માહિતી પ્રાપ્ત કરી. તેઓ સંસ્થાની બહુઆયામી પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયાં. ‘બીજાના ભલામાં આપણું ભલું.’ એ પ્રમુખ સ્વામીજીનું સૂત્ર તેમના હૃદયને સ્પર્શ કરી ગયું. જાણે એક ચમત્કાર સર્જાયો! તેઓ વ્યસનમુક્તિની આ ફિલ્મના નિર્દેશન માટે તૈયાર થઈ ગયા અને તે પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધાં વગર!
વલસાડથી આશરે પંદરેક કી.મી. દૂર ખજુરડી ગામે ચારેક દિવસ આ ફિલ્મનું શુટીંગ ચાલેલું. આ શુટીંગનો અનુભવ જ અનોખો હતો. શુટીંગ દરમ્યાન આસ્થાથી જોડાયેલાં હરિભક્તોની સેવાભાવનાથી તેમનું વ્યસન જાણે ઓગળવા લાગ્યું! 80 સિગરેટમાંથી તેઓ કઈ રીતે 20 પર આવી ગયા તેનો તેમને ખ્યાલ પણ ન રહ્યો. એમની સમગ્ર ટેકનિકલ ટીમમાં પણ તેમણે જીવનમાં પહેલી વખત અદમ્ય ઉત્સાહ જોયો. દરરોજ સોળથી અઢાર કલાક શુટીંગ ચાલે, તો પણ ન કોઈ થકાવટ કે ન કોઈ કંટાળો! અગવડ સગવડની કોઈ ડિમાન્ડ નહીં. કોઈ સકારાત્મક ઊર્જા કામ કરી રહી હોય તેવું સૌએ અનુભવ્યું.
સુરતમાં પ્રમુખસ્વામી મહારાજના 96મા જન્મોત્સવ પર્વ દરમ્યાન યોજાયેલ પ્રદર્શન ખંડમાં માનવ મહેરામણ સાથે તેમણે પણ પ્રેક્ષક બની આ ફિલ્મ જોઈ. શ્રી અરવિંદ બબ્બલની આ સિદ્ધિ અન્ય આંતર રાષ્ટ્રીય એવાર્ડ કરતાં પણ વિશેષ હતી. કારણ કે હૃદયદ્રાવક આ ફિલ્મથી અનેક કુટુંબોની બરબાદીથતી અટકી ગઈ. લગભગ સાત દિવસના ટૂંકા ગાળામાં 35,000 માણસોએ વ્યસન છોડ્યાં!
સુરતમાં 6 ડિસેમ્બર, 2016ના રોજ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રથમ દર્શનથી તેમને પોતાના પિતા સામે છે તેવી અનુભૂતિ થઈ. તેઓ અવાક્ થઈ ગયા. અલ્પભાષી સ્વામીજીનું મધુર સ્મિત અને દિવ્યતા તેમને સ્પર્શી ગયાં. વ્યસનના પીંજરામાંથી મુક્ત થયેલું આ પારેવડું ક્યારે આભમાં મ્હાલવા લાગ્યું તેની ખુદને પણ ખબર ન રહી! પુષ્પના સ્પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્યવંતા બની ગયા. તેઓ સંપૂર્ણ વ્યસન મુક્ત થઈ ગયા! તેમની પ્રોડ્ક્શન ટીમના સભ્યો પણ આヘર્યચકિત થઈ ગયાં. એટલું જ નહીં પરંતુ તેઓ પણ વ્યસનમુક્તિના માર્ગે વળ્યા!
અનંત કાળથી ગુફામાં ધરબાયેલું અંધારું પણ એક નાની જ્યોતના પ્રકાશથી નાશ પામે છે, વજ્રસમુ કોઈ પણ પદાર્થ સૂર્ય ઊર્જાથી સામે ટકી ન શકે, તેમ શ્રી અરવિંદ બબ્બલ પરમ પૂજય મહંતસ્વામી મહારાજના દર્શનથી નિર્વ્યસની બની ગયા. ન કોઈ ઉપદેશ, ન કોઈ વાર્તાલાપ! સાધૂનાં દર્શનં પૂણ્યમ્!
આજે 26, સપ્ટેમ્બર, 2024. અનેકને જીવનનો સાચો રાહ ચિંધનાર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની 91મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે, તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન. તેમનાચરણોમાં કુટેવોની આહુતિ આપવાનો આ અમૂલ્ય અવસર છે.
નોંધઃ આજે તેમની જન્મજયંતી મુંબઈ, ગોરેગાંવ ખાતે નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. તે કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંજે 5.00 થી 8.00 આસ્થા ભજન ચેનલ તથા live. Baps.org પર માણી શકાશે.