વલસાડ નાના સુરવાડાના 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાન માંગેલાના આપઘાતથી પરિવાર અને કંપની કર્મચારીઓમાં આઘાત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: અતુલ કંપનીમાં ફરજ બજાવતા યુવાન કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર પ્લાન્ટના ત્રીજા માળે સેફટી બેલ્ટથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા કંપની વર્તુળ અને પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વલસાડના નાના સુરવાડા ગામે રહેતો 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાનભાઈ માંગેલા નામનો યુવાન બુધવારે રાબેતા મુજબ અતુલ કંપનીમાં ફરજ ઉપર ગયો હતો. નોર્થ સાઈટમાં કંપનીના એબોક્સી પ્લાન્ટના ત્રીજા માળે પ્રફુલ્લ ફરજ ઉપર હતો તેદરમિયાન સેફટી બેલ્ટ બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ અન્ય કર્મચારીઓને થતા મેનેજરને બનાવની તાત્કાલિક જાણ કરી હતી. મેનેજરે રૂરલ પોલીસમાં બનાવની જાણ કરતા પોલીસ અતુલ કંપનીમાં પહોંચી હતી. મૃતકની લાશ ઉતારી પી.એમ. માટે મોકલી વધુ આગળની તપાસ હાથ ધરી હતી. સાથી કર્મચારી પ્રફુલ્લની અણધારી વિદાયને લઈ કંપની અને પરિવારમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી.