(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી, આદિત્ય એનજીઓ અને નરોલી પંચાયતના સહયોગ દ્વારા દુનિયાના લોકપ્રિય નેતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે નિઃશુલ્ક મેગા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી. નરોલી પંચાયત હોલમાં ભાજપા મંડળ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી દ્વારા ચાર યુવા અને ચાર મહિલાઓને રોજગારપત્ર આપી નોકરી લગાવવાનું વચન પૂર્ણ કર્યું હતું. આ મેડિકલ કેમ્પમાં શુગર ચેકઅપ, આંખની તપાસ બાદ જેઓને મોતિયા બિંદ હોય તેઓને રોટરી આઈ ઈન્સ્ટિટયૂટ નવસારી ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે અને જેઓના નંબરઆવ્યા હોય તેઓને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં હાર્ટના ડો. સાગર સોલંકી, ચામડીના રોગના ડો. હરસિદ્ધિ રાઠોડ, નાના બાળકોમાં કુપોષણ અન્ય બીમારી માટે ડો.મિત્તલ પટેલ, ન્યુરોસર્જન ડો.જીગર શાહ, મનોચિકિત્સક ડો.ધવલ પટેલ, દાંતના ડો.અમિત માથુર સહિત ડોક્ટરો અને એમની ટીમે સેવા આપી હતી. આ શિબિરનો 3000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે આદિત્ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકી, સરપંચ શ્રીમતી રિનાબેન પટેલ, સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકી, રોટરી ક્લબ દાનહના પ્રમુખ શ્રી મિલન પટેલ, શ્રી વિરલસિંહ રાજપૂત, શ્રી યશવંતસિંહ પરમાર સહિત એમની ટીમ, વલસાડથી ખાસ પધારેલ ભીડ ભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.