-
દમણ ખાતે માહ્યાવંશી, ધોડિયા અને હળપતિ સમુદાયના વિસ્તારની મુલાકાત લઈ વિવિધ સમસ્યાઓથી રૂબરૂ થયા
-
સરકારની યોજનાના પ્રચાર પ્રસાર માટે સમાજના જાગૃત લોકોને જોડી પ્રચાર મિત્ર બનાવવા મિત્તલ પટેલે રજૂ કરેલો પ્રસ્તાવ
દમણ, તા.07
આજે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી (નોમેડિક) અને અર્ધવિચરતી (સેમી નોમેડિક) સમુદાય માટેના વિકાસ (ડેવલપમેન્ટ) અને કલ્યાણ (વેલફેર) બોર્ડના સભ્ય સુશ્રી મિત્તલબેન પટેલે દમણના વિવિધ અનુજાતિ અને જનજાતિ સમુદાયની વસતીની મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો અને તેમની સમસ્યાથી પણ રૂબરૂ થયા હતાં.
ભારત સરકારના ડી-નોટીફાઈડ નોમેડિક અને સેમી નોમેડિક કોમ્યુનિટીના ડેવલપમેન્ટ અને વેલફેર બોર્ડના સભ્ય સુશ્રી મિત્તલબેન પટેલે આજે સવારે કચીગામ વિસ્તારના માહ્યાવંશી, ધોડિયા અને હળપતિ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન બેંકમાં લોન લેવા આપવા પડતી વિવિધ મોર્ગેજ સંપતિના અભાવે અનુજાતિ અને જનજાતિના યુવા સાહસિકો પોતાનો રોજગાર શરૂ કરવા અસમર્થહોવાની વ્યાપક રજૂઆત થઈ હતી.
દરમિયાન ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા અનુજાતિ અને જનજાતિના બાળકોને સ્કોલરશીપ મળે એવી પણ રજૂઆત કરાઈ હતી. પ્રદેશના અનુજાતિ અને જનજાતિના ઘણા સાહસિકો પોતાનો ધંધો-રોજગાર કરી રહ્યા છે. તેમને પ્રશાસન દ્વારા સરકારી પ્રોજેકટોના થોડાક કામો અપાવવા પણ માંગણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ભૂમિહીન લોકો માટેની આવાસ યોજનાના સંદર્ભમાં પણ વિવિધ રજૂઆતો ગ્રામજનોએ કરી હતી.
માહ્યાવંશી, ધોડિયા અને હળપતિ સમુદાયના વિસ્તારની મુલાકાત બાદ સુશ્રી મિત્તલબેન પટેલ જોડે સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનની ઉપસ્થિતિમાં આગેવાનો સાથે લંબાણથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સુશ્રી મિત્તલબેન પટેલે સમાજના જાગૃત લોકોને જોડી ભારત સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે પ્રચાર મિત્રો બનાવવા પણ પોતાનું સૂચન રજૂ કર્યુ હતું.
આ પ્રસંગે કચીગામ વિભાગના જિ.પં. સભ્ય શ્રી દિનેશભાઈ ધોડી, આદિવાસી યુવા નેતા શ્રી ભાવિક હળપતિ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, માહ્યાવંશી સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈ દમણીયા, આટિયાવાડ વિભાગના જિ.પં. સભ્ય શ્રીમતી સુનિતાબેન હળપતિ તથા આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડીએ સુશ્રી મિત્તલબેન પટેલને એકસ્મૃતિ ભેટ પણ એનાયત કરવામાં આવી હતી.