ઉપાધ્યક્ષ રશ્મિભાઈ પંડયાના હસ્તે સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરાયા
વલસાડઃ ૩૧:
સમગ્ર રાજ્યમાં તા.૨૫ મી ડિસેમ્બરથી શરૂ કરાયેલા સુશાસન સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે પંચાયત ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ વલસાડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજય બિન અનામત વર્ગોના આયોગના ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડયા સહિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ અને સમરસ થયેલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે ગ્રામવિકાસ વિભાગ હસ્તક મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૨૨૬.૨૨ લાખના કુલ ૧૫૪ કામોનું ખાતમુહુર્ત તથા કુલ રૂ. ૧૪.૦૩ લાખનાં કુલ ૪૯ કામોનું લોકાર્પણ, ગ્રામવિકાસ વિભાગ હસ્તક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં કુલ રૂ. ૯૭.૨૦ લાખનાં ખર્ચે તૈયાર થયેલ ૮૧ આવાસોનું લોકાર્પણ તથા ૭૯ લાભાર્થીઓને રૂ. ૨૩.૭૦ લાખનાં પ્રથમ હપ્તાની સહાયનાં ચેકોનું વિતરણ, ગ્રામવિકાસ વિભાગ હસ્તક ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત પંચાયત વિભાગ હસ્તક ૧૫મા નાણાપંચ અંતર્ગત રૂ. ૧.૨૭ કરોડનાં કુલ ૬૯ કામોનું ખાતમુહુર્ત તથા કુલ રૂ, ૧.૭૮ કરોડનાં કુલ ૯૮ કામોનું લોકાર્પણ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક વલસાડ જિલ્લામાં રૂ. ૧.૨૦ કરોડનાં કુલ ૩ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત રીવોલ્વિંગ ફંડના સ્વસહાય જૂથના ૮ લાભાર્થીઓને ૧૫ હજારના ચેક, કોમ્યુનીટિ ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૬ સખી સંઘોને રૂા.૭ લાખના ચેક, પી.એમ.એફ.એમ.ઇ.ના લાભાર્થીર્ને રૂા.૧.૦૬ લાખનો ચેક તેમજ પ સ્વસહાયજૂથના કેશક્રેડિટના લાભાર્થીઓને એક લાખના ચેકનું વિતરણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ અવસરે બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ રશ્મિભાઈ પંડયાએ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોને અભિનંદન પાઠવી ગામના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપવા અને ગામના દરેક જરૂરિયાતમંદ લોકોને સરકારની યોજનાઓનો લાભ અપાવવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને વહીવટીતંત્રની કુશળતાને કારણે સમયબદ્ધ રીતે યોગ્ય દિશામાં પરિણામલક્ષી કામગીરી થાય તેને સુશાસન કહેવાય છે તેમ જણાવી રાજ્ય સરકારે કામ કરવાની પધ્ધતિ બદલી રાજ્યનાં સર્વાંગી વિકાસની દિશામાં આગેકૂચ કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ સરકાર જે વાયદો કરે છે તે પૂર્ણ કરે છે, જે કામનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પ્રજાજનોને ખોરાક, રહેઠાણ, અભ્યાસ અને રોજગાર મળી રહે તેની સતત ચિંતા કરી રહી છે, એટલું જ નહીં તેમને જીવનમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટેના સંનિષ્ઠ પ્રયાસો પણ કરે છે. જે માટે સ્થાનિક પદાધિકારીઓ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહયા છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી સંબંધિતોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયેશ મયાત્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ અવસરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.વસાવા, નાયબ કાર્યપાલક ઈજનેર વિધિ પટેલ, ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લા પંચાયતના કર્મીઓ, લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.