પ્રશાસક તરીકે આવેલા આઈ.એ.એસ. અધિકારી પૈકી નરેન્દ્ર કુમાર સિવાય છેવાડેના આદિવાસીઓનું જીવન-ધોરણ સુધરે તેવા કોઈએ પ્રયાસ કર્યા નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દાનહની ભૌગોલિક, રાજકીય અને સાંસ્કૃતિક સ્થિતિથી પરિચિત હોવાના કારણે પ્રશાસક પદે પ્રફુલભાઈ પટેલની કરેલી વરણી બાદ છેલ્લા પાંચ વર્ષમાં બદલાયેલી તાસિર
પાંચ વર્ષ પહેલાં દાદરા નગર હવેલીની હાલત શુંહતી અને ઓળખ શું હતી..? આજે દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, અદ્યતન આંતરરાષ્ટ્રીય માપદંડ સાથેનું સ્ટેડિયમ, ઉત્તમ કલા કેન્દ્ર, ઠેર ઠેર ફલાય ઓવર, રિંગરોડ, વિવિધ શાળાઓના આકર્ષક ભવનો વગેરેથી આજે દાદરા નગર હવેલીની નવી ઓળખ બની છે. જેની પાછળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલી માવજત છે.
ગયા વર્ષ સુધી દાદરા નગર હવેલી એક સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં તેના વહીવટકર્તા એવા પ્રશાસક દમણ-દીવ અને દાદરા નગર હવેલીના એક જ હતા. 16મી માર્ચ, 1992થી અત્યાર સુધી આવેલા લગભગ 18 જેટલા પ્રશાસકો પૈકી ભાગ્યે જ કોઈ એકે દાદરા નગર હવેલીના સર્વાંગી વિકાસની કાળજી લીધી હશે. કારણ કે, પ્રશાસક તરીકે આવતા આઈ.એ.એસ. અધિકારીઓ પૈકી મોટાભાગનાઓને પ્રદેશના આદિવાસીઓનું જીવન-ધોરણ કેવી રીતે બદલાય અને તેમનામાં આમૂલ પરિવર્તન કેવી રીતે આવે તેની સાથે કોઈ નિસ્બત નહીં રહેતી હતી. પ્રશાસક તરીકે આવેલા આઈ.એ.એસ. અધિકારી પૈકી સંભવતઃ શ્રી નરેન્દ્ર કુમાર સિવાય છેવાડેના આદિવાસીઓનું જીવન-ધોરણ સુધરે તેવા કોઈએ પ્રયાસ કર્યા નથી જે નકરી વાસ્તવિકતા છે. પરંતુ પ્રદેશના સદ્ભાગ્યે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગર હવેલીના દરેક પાડા અને વિસ્તારથી પરિચિત હોવાના કારણેતેમણે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી વરણી બાદ છેલ્લા પાંચ વર્ષમાં આદિવાસીઓના જીવન-ધોરણને બદલવા સફળતા મળી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા પ્રદેશના વિકાસ અને છેવાડેના લોકોની ચિંતા કરી છે. જેના કારણે ઘણી વખત તેમને કઠોર નિર્ણય લેવાની પણ ફરજ પડી હોવા છતાં પોતાની કાર્યનિષ્ઠાને પ્રાથમિકતા આપી પોતે વિરોધનો વંટોળ પણ સહન કર્યો છે. આજે સતત ત્રણ દિવસથી પ્રદેશના વિવિધ વિકાસ કામોને જોઈ તપાસી અને જ્યાં કચાશ રહી હોય ત્યાં સુધારવા પણ કડક નિર્દેશ આપી પ્રશાસકશ્રીએ પોતાના પ્રશાસન ધર્મને પ્રાથમિકતા આપી હોવાનું સમજાય છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના ત્રણ દિવસના નિરીક્ષણ અભિયાનમાં હવે નિર્માણ પામી રહેલા નવા દાદરા નગર હવેલીની કલ્પનાને અપાયેલા મૂર્તિમંત સ્વરૂપને આખરી ઓપ આપ્યો છે. તેમણે શ્રેષ્ઠ દાદરા નગર હવેલીના નિર્માણ માટે આપેલો કોલ પણ સંપૂર્ણ રીતે ચરિતાર્થ થયો છે.
પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલ વિકાસ ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે, આ પ્રકારની અનુラકુળતા ભવિષ્યમાં મળશે જ તેની કોઈ ખાત્રી નથી. કારણ કે, પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવનો અવાજ કેન્દ્રસરકાર સુધી પહોંચે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમી નજર આ પ્રદેશ ઉપર પડતી રહે છે. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષમાં પાંચ દાયકામાં પણ નહીં થયેલા વિકાસના અનેક કામો સાકાર થઈ શક્યા છે.
સોમવારનું સત્ય
દાદરા નગર હવેલીમાં ચાલી રહેલ ભંગાર અને લેબર કોન્ટ્રાક્ટનું સામ્રાજ્ય હજુ અકબંધ રીતે ચાલી રહ્યું છે. આ સામ્રાજ્યને ભેદવું ખુબ જરૂરી છે. કારણ કે, પ્રદેશમાં ઉભી થતી પીડાની જડ જ ભંગાર અને લેબર કોન્ટ્રાક્ટનું સામ્રાજ્ય છે. પ્રશાસન હવે આ તરફ પણ પોતાની વક્રદૃષ્ટિ કરે એ સમયનો તકાજો છે.